પાકિસ્તાન ક્રિકેટ હંમેશા કોઈને કોઈ કારણોસર સમાચારમાં રહે છે. ક્યારેક પાકિસ્તાન ક્રિકેટમાંથી ખેલાડીઓના ફોર્મ, ક્યારેક ટીમ પસંદગી અને ક્યારેક કોચિંગ સ્ટાફને લઈને કોઈને કોઈ સમાચાર આવતા રહે છે. હવે પાકિસ્તાન ક્રિકેટમાંથી વધુ એક મોટા સમાચાર આવ્યા છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ દિગ્ગજ બેટ્‌સમેન અને ટેસ્ટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મોહમ્મદ યુસુફે લાહોરમાં નેશનલ ક્રિકેટ એકેડેમી ખાતે બેટિંગ કોચ પદ પરથી રાજીનામું આપી દીધું છે.
જાકે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી, પરંતુ મોહમ્મદ યુસુફે પોતે આ વાતની પુષ્ટિ કરી છે. યુસુફે કહ્યું કે તેમણે પોતાનું રાજીનામું મોકલી દીધું છે, જેને ગયા અઠવાડિયે પીસીબી દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું. યુસુફે આ અંગે વધુ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે, તેને સંપૂર્ણપણે વ્યક્તિગત નિર્ણય ગણાવ્યો છે.
મોહમ્મદ યુસુફ પાકિસ્તાન ક્રિકેટના સૌથી વિશ્વસનીય અને અનુભવી બેટ્‌સમેનોમાંના એક છે. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી, તેમણે કોચિંગમાં પોતાનો હાથ અજમાવ્યો અને ઘણા વર્ષો સુધી એનસીએમાં બેટિંગ કોચની જવાબદારી સંભાળી રહ્યા હતા. તેમણે માત્ર અંડર-૧૯ ટીમ સાથે જ નહીં પરંતુ પાકિસ્તાનની સિનિયર ટીમ સાથે પણ બેટિંગ કોચ તરીકે કામ કર્યું. તેમના કોચિંગ હેઠળ, ઘણા યુવા બેટ્‌સમેનોએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું અને ટીમનો ભાગ બન્યા.
આ ઘટનાક્રમ સાથે સંકળાયેલા વિશ્વસનીય સૂત્રના જણાવ્યા અનુસાર, મોહમ્મદ યુસુફ ખરેખર પીસીબીના તાજેતરના નિર્ણયથી નારાજ હતા. બોર્ડે ભૂતપૂર્વ ફાસ્ટ બોલર આકિબ જાવેદને નવા ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા, જેનાથી યુસુફ ખૂબ નારાજ થયા. તેમનું માનવું હતું કે તેમની વરિષ્ઠતા અને એનસીએમાં તેમની લાંબા સમયની સેવાને ધ્યાનમાં રાખીને આ પદ તેમને આપવું જાઈતું હતું. આ નારાજગીને કારણે, યુસુફે પીસીબીને પોતાનું રાજીનામું મોકલ્યું, જેને હવે બોર્ડે સ્વીકારી લીધું છે. આકિબ પહેલા, નદીમ ખાન એનસીએના ડિરેક્ટર તરીકે કામ કરી ચૂક્યા છે. ગયા વર્ષથી,પીસીબીએ આકિબને ઘણા મહત્વપૂર્ણ પદો આપ્યા છે, જેમાં તેમને સિનિયર પસંદગીકારો તરીકે નિયુક્ત કરવા અને પછી તેમને સિનિયર ટીમના વચગાળાના મુખ્ય કોચ બનાવવાનો સમાવેશ થાય છે.