પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં અતિક્રમણ વિરોધી અભિયાન હિંસક બની જતાં ઓછામાં ઓછા ૧૨ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. હૈદરાબાદ શહેરના કાસિમાબાદ વિસ્તારમાં અતિક્રમણ વિરોધી અભિયાનનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન પોલીસ અને વિરોધ કરી રહેલા લોકો વચ્ચે ઘર્ષણ પણ થયું છે. લોકોના ભારે વિરોધ છતાં અતિક્રમણ વિરોધી ઝુંબેશ ચાલુ છે.
વાસ્તવમાં, અધિકારીઓ સિંચાઈ કેનાલને પુનઃસ્થાપિત કરવાની અને કાસિમાબાદ વિસ્તારમાં ૨૪ ફૂટ પહોળો રોડ બનાવવાની યોજના પર કામ કરી રહ્યા હતા. યોજના પૂર્ણ કરવા માટે, જ્યારે અધિકારીઓ અતિક્રમણ હટાવવા પોલીસકર્મીઓ સાથે સ્થળ પર પહોંચ્યા, ત્યારે તેમને સ્થાનિક લોકોના ભારે વિરોધનો સામનો કરવો પડ્યો.
અતિક્રમણનો વિરોધ કરી રહેલા લોકો અને સ્થાનિક રહેવાસીઓએ અધિકારીઓ પર પથ્થરમારો કર્યો હતો અને કેટલાક સરકારી વાહનોના કાચ તોડી નાખ્યા હતા. પોલીસે ભીડને વિખેરવા માટે હવામાં ગોળીબાર અને ટીયર ગેસના શેલ છોડીને જવાબ આપ્યો, જેના કારણે ઘણા પ્રદર્શનકારીઓ ઘાયલ પણ થયા.
આ સમગ્ર મામલાને લઈને હૈદરાબાદના ડેપ્યુટી કમિશનર (ડીસી) ઝૈનુલ આબેદિન મેમને કહ્યું, “ટોળા દ્વારા હિંસામાં લગભગ ૧૨ પોલીસકર્મીઓ અને કેટલાક લોકો ઘાયલ થયા છે.” તેમણે કહ્યું કે બુધવારે પણ અભિયાન ચાલુ રહ્યું. આ ઝુંબેશ સિંચાઈ વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહી છે.