પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ છે. આ દિવસે જ પર્યાવરણના સંરક્ષણ માટે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકશે અને વૃક્ષ કપાતા હશે ત્યાં વીડિયો બનાવશે અને કહેશે કે કેવા વૃક્ષો કાપે છે.? આવું બધું કરવાથી પર્યાવરણનું સંરક્ષણ થશે નહીં તેના માટે નક્કર કામ કરવા પડશે. આતંકવાદ કરતા પણ ભયંકર સમસ્યા પર્યાવરણના સંદર્ભે છે. જન સંખ્યા, ઔદ્યોગીકીકરણ, પ્રદૂષણ, ખનન પ્રવૃત્તિ, શહેરી વિકાસ માટે વૃક્ષોનું બેફામ નિકંદન કાઢવું અને જે છે તે સાચવવાની જગ્યાએ કાપવાની તરકીબો કરતા કસાઈઓ આખા દેશમાં જોવા મળે છે.
વૃક્ષોના સંવર્ધન માટે ગોંડલના રાજા ભગવતસિંહજીના સ્ટેટમાં કોઈ ભરવાડની બકરી છોડની કુંપણને બચકું ભરે તો તેને દંડ કરવામાં આવતો હતો. રાજાશાહીમાં વૃક્ષ અને પર્યાવરણ પરત્વેનો આવો ઉમદા પ્રેમ જોઈ શકાય છે. ભૌગોલિક પરિસ્થિતિના ૩૩% જંગલો હોવા જોઈએ પરંતુ દેશમાં ૨૩% થી ઓછા જંગલો છે. ગુજરાતમાં તો ૧૦% થી પણ ઓછા છે એવા સમયે ચિંતા કરવા સિવાય બીજો કોઈ માર્ગ નથી.
ગામડાઓમાં મામલતદાર અને વન વિભાગની નજર સામે બેફામ
વૃક્ષો કાપી માર્કેટમાં વેચવાનો વેપાર ચાલે છે. વસ્તી વધારો થયો છે એટલે વાહનો બેફામ વધ્યા છે. રોડ, રસ્તાનો વિકાસ કરવા માટે રોડની આજુબાજુ જે વૃક્ષો છે તે પ્લાન્ટેશન ટેકનીકથી જમીનથી ઉખેડી બીજે પ્લાન્ટેશન થાય તેવી ફ્રાન્સ દેશમાં ટેકનોલોજી છે તો ભારત આ બાબતે ના વિચારી શકે?
પર્યાવરણ એટલે જે આપણી આસપાસ છે તે જીવંત અથવા નિર્જીવ વસ્તુઓ હોઈ શકે છે. તેમાં ભૌતિક, રાસાયણિક અને અન્ય કુદરતી પરીબળોનો સમાવેશ થાય છે. જીવંત વસ્તુઓ તેમના પર્યાવરણમાં રહે છે. જમીન, હવા, પાણી, જંગલો અને ઉર્જા જેવા કુદરતી સંશાધનોની આપણને કુદરત દ્વારા અમુલ્ય ભેટ મળી છે. જમીન, હવા, પાણી, જંગલો અને ઉર્જા વિગેરેને કુદરતી સંપત્તિ ગણીને મફત મળતી વસ્તુ તરીકે ગણવામાં આવે છે. જો આ કુદરતી સંસાધનોનો વિવેકપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો ભવિષ્યની પેઢીને આ કુદરતી સંસાધનો વારસામાં આપી શકાય. આ કુદરતી સંપત્તિનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો આપણા માટે હિતાવહ છે. આજનાં આધુનિક સમયમાં માનવીએ વિકાસ તરફ આંધળી દોટ મૂકી છે. જેમાં માનવી પર્યાવરણને ભૂલી ગયો છે અને માત્ર ‘સ્વ’ કેન્દ્રી બની ગયો છે. આજે સ્વાર્થી બનીને માત્ર આ વસ્તુઓનો ઉપભોગ કરવામાં જ માનવીને રસ છે. જેના પરિણામે આજે અનેક પ્રકારના પ્રદૂષણો પૃથ્વી પર ફેલાયેલા છે જેથી માનવી અનેક રોગો તથા કુદરતી આપત્તિનો ભોગ બને છે.
પર્યાવરણ અંગે ગાંધીજીની વાતની વર્તમાન સમયમાં સુસંગતતા સ્પષ્ટ થાય છે. તેઓ કહેતા કે “તમે કુદરત પાસેથી જે લો છો તે તેને પરત આપવું જોઇએ. કુદરતને વધુમાં વધુ વાપરી નાખવી તે વિકાસ નથી પરંતુ કુદરતને સાચવવી, જાળવણી અને ઉત્પાદન કરવું તે વિકાસ છે.”
આથી આપણે કુદરતી સંસાધનો જાળવી રાખવા પ્રયત્નો કરવા જોઇએ એ વાત ગાંધીજીના વિચારોમાં પણ સ્પષ્ટ થાય છે. આથી કુદરતી સંસાધનો ટકાવી રાખવાના માનવીય પ્રયત્નો કરવા જરૂરી બને છે.
દેશમાં ગમે તેટલી પ્રગતિ થાય પરંતુ પર્યાવરણ ક્ષેત્રે સમતુલા ન હોય તો બધું નિરર્થક છે. વિક્રમચરિત નામના ગ્રંથમાં વૃક્ષને સંતપુરુષની ઉપમા આપવામાં આવી છે. જ્યારે જગદીશચંદ્ર બોઝ દ્વારા એવું સંશોધિત કરવામાં આવ્યું છે કે વૃક્ષમાં જીવ હોય છે. લીલું વૃક્ષ હશે તો અંદરથી પાણી નીકળશે જ્યારે વૃક્ષ સુકાઈ જાય છે ત્યારે કશું જ જોવા મળતું નથી માત્ર લાકડું હોય છે.
કુદરતે આપેલા પ્રાકૃતિક સંસાધનોનું સંરક્ષણ કરવું તે દરેક નાગરિકની ફરજ છે. પર્યાવરણના એવોર્ડ લેવાથી પર્યાવરણનું જતન નહીં થાય, તેના માટે નક્કર વૃક્ષારોપણ કરવું પડશે. વાવ્યા પછી તેનું યોગ્ય રીતે જતન થાય અને સંવર્ધન થાય તે માટે કાળજી રાખવી પડશે. આજે પ્રદૂષણ અને વૈશ્વિક તાપમાન આસમાને છે. એવા સમયે પર્યાવરણના સંરક્ષણ માટે જાગૃતિ કેળવીએ. વૃક્ષ છે તો જીવન છે. ફરીથી કોરોનાએ ભરડો લીધો છે. ઓક્સિજન વગર કેટલાય લોકો પ્રભુને પ્યારા થઈ ગયા છે. તેવા સમયે પર્યાવરણના સંરક્ષણ અને જતન માટે નાગરિક તરીકે કાળજી રાખીએ.બિનજરૂરી પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીએ, ગ્રીનહાઉસ નિર્માણ ન થાય તેવા પ્રયત્નો કરીએ. પડતર જમીનમાં વૃક્ષારોપણ થાય, તે વૃક્ષોને પૂરતા પ્રમાણમાં નિયમિત પાણી મળે તેવું આયોજન કરીએ તો જ પર્યાવરણ જીવંત રહેશે. ચોમાસાના સમયગાળા દરમિયાન વૃક્ષો વાવીએ સાથે એક વૃક્ષ મારી માના નામે રોપી તેને મોટું કરીએ એ જ સૌથી મોટી રાષ્ટ્રસેવા હશે.
પર્યાવરણની શિબિરમાં પણ પ્લાસ્ટિકની બોટલોમાં પાણી પીવાય છે. મોટી મોટી વાતો કરવાથી અને એવોર્ડ અર્પણ કરવાથી સંવર્ધન થઈ શકશે નહીં. નક્કર કામ કરવા પડશે તો જ પર્યાવરણનું જતન થશે. વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો.. કપડવંજ તાલુકાના દાણા ગામના નિવૃત આચાર્ય કમલેશભાઈ સાહેબની ગાડી પાછળ આજે પણ ‘એ આવજો અને એક વૃક્ષ વાવજો’ આવું સ્લોગન જોવા મળે છે. આવા પર્યાવરણપ્રેમી સમાજનું શ્રેષ્ઠ વ્યક્તિત્વ છે.
મો.૯૮૨૫૭૦૨૨૮૨