આગામી તા.૨૮ ઓક્ટોબર સોમવારના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દૂધાળા અને અને લાઠી ખાતે આયોજિત સમારોહમાં ઉપસ્થિત રહેશે. વડાપ્રધાનની સુરક્ષાને ધ્યાને લેતા અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ અજય દહિયાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિત-૨૦૨૩ની કલમ-૧૬૩ અંતર્ગત જાહેરનામુ પ્રસિદ્ધ કર્યુ છે. તા.૨૮ ઓક્ટોબર, ૨૦૨૪ સોમવારના રોજ દુધાળા હેલિપેડ, લાઠી શહેર ખાતેના સભા સ્થળ તથા વડાપ્રધાન જે માર્ગે પસાર થવાના છે તે વિસ્તારોના નો-ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ વિસ્તારોમાં જિલ્લા મેજિસ્ટ્રેટની પરવાનગી સિવાય તમામ ફ્લાઈટ, હેલિકોપ્ટર, ડ્રોન કે અન્ય તમામ પ્રકારના ઉતરાણ કે ઉડ્ડયન કરવા પર પ્રતિબંધ છે. આ પ્રતિબંધ લાઠી તાલુકાના દુધાળા ખાતે હેતની હવેલી ખાતેના હેલિપેડ તથા હેતની હવેલી ખાતેનાં કાર્યક્રમની આસપાસના ત્રણ કિ.મી. ત્રિજ્યા વિસ્તાર, લાઠી ખાતે જાહેર સભા સ્થળ તથા તેની આસપાસના ત્રણ કિ.મી. ત્રિજ્યા વિસ્તાર અને વડાપ્રધાન જે રુટ પરથી પસાર થાય તે રુટ પરના ત્રણ કિ.મી. ત્રિજ્યા વિસ્તારમાં લાગુ પડશે. આ હુકમનો ભંગ કરનાર સામે કાનૂની કાર્યવાહી કરાશે.