એક ખેલાડી જેને તેના ક્રિકેટ બોર્ડ દ્વારા આઇપીએલ ૨૦૨૬ માં ભાગ લેવાથી રોકવામાં આવ્યો હતો, તેણે તેના જ દેશના ક્રિકેટ બોર્ડ સામે કેસ દાખલ કર્યો છે. અમે વાત કરી રહ્યા છીએ ફાસ્ટ બોલર નુવાન તુષારા વિશે, જેણે શ્રીલંકા ક્રિકેટ બોર્ડ સામે કોર્ટમાં કેસ દાખલ કર્યો છે.
શ્રીલંકાના મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નુવાન તુષારાએ આઇપીએલ માટે એનઓસી ન મળવા બદલ તેના બોર્ડ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. નુવાન તુષારા શ્રીલંકા ક્રિકેટ બોર્ડ દ્વારા લેવામાં આવેલા ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ ગયો હતો, ત્યારબાદ તેને આઇપીએલમાં રમવાની પરવાનગી ના મળી. શ્રીલંકા બોર્ડે એક નિયમ બનાવ્યો છે કે ફિટનેસ ટેસ્ટ પાસ કરનારા ખેલાડીઓ જ વિદેશી લીગમાં રમી શકશે.
નુવાન તુષારા આરસીબીનો ખેલાડી છે. તેને ગયા વર્ષે આરસીબીએ ૧.૬ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.આરસીબીએ આ સિઝનમાં એક મેચ રમી લીધી છે, પરંતુ નુવાન તુષારા હજુ પણ શ્રીલંકામાં છે. નુવાન તુષારાએ હવે શ્રીલંકા ક્રિકેટ બોર્ડ સામે કેસ દાખલ કર્યો છે, જેમાં ગંભીર આરોપો લગાવ્યા છે. તુષારાનો દાવો છે કે તેનો કરાર ૩૧ માર્ચે સમાપ્ત થઈ ગયો હતો, પરંતુ શ્રીલંકા ક્રિકેટ બોર્ડ ફિટનેસ સમસ્યાઓનું બહાનું કાઢીને તેને એનઓસી આપી રહ્યું નથી. તુષારાએ જણાવ્યું હતું કે આ નિર્ણયથી તેને ૧.૬ કરોડનું નુકસાન થઈ રહ્યું છે.
એવા અહેવાલો છે કે નુવાન તુષારા હવે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ સ્વીકારશે નહીં. તેણે આ વિશે શ્રીલંકન બોર્ડને જાણ પણ કરી દીધી છે. આનો અર્થ એ થયો કે તુષારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાની શક્યતા ઓછી થઈ જશે. તુષારા એક શાનદાર બોલર છે, તેણે શ્રીલંકા માટે ૩૦ ટી ૨૦માં ૩૬ વિકેટ લીધી છે. તેનો ઇકોનોમી રેટ પ્રતિ ઓવર માત્ર ૮.૧ રન છે. લસિથ મલિંગાની જેમ તેની અલગ બોલિંગ એક્શન સામે બેટ્સમેનોને રન બનાવવા મુશ્કેલ બની જાય છે. તે બોલને સ્વિંગ કરવામાં પણ માહિર છે.














































