બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વિધાન પરિષદમાંથી રાજીનામું આપી દીધું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમણે મુખ્યમંત્રી નિવાસસ્થાને બિહાર વિધાન પરિષદના અધ્યક્ષ અવધેશ નારાયણ સિંહને પોતાનું રાજીનામું સુપરત કર્યું. અવધેશ નારાયણ સિંહ હમણાં જ મુખ્યમંત્રી નિવાસસ્થાને પહોંચ્યા હતા. રાજીનામાની ઔપચારિક જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. દરમિયાન, નીતિશ કુમારે આજે બિહાર વિધાન પરિષદમાંથી રાજીનામું આપી દીધું છે, પરંતુ મુખ્યમંત્રી પદના રાજીનામા અંગે સસ્પેન્સ યથાવત છે.એમએલસી પદ પરથી રાજીનામું આપ્યા પછી પણ, નીતિશ કુમાર છ મહિના સુધી મુખ્યમંત્રી રહી શકે છે, પરંતુ વાસ્તવિક લડાઈ તેમના રાજકીય અનુગામી પર છે.
નીતિશના વિધાન પરિષદમાંથી રાજીનામા સાથે, તેમના રાજકીય અનુગામી પસંદ કરવાના પ્રયાસો તેજ બનશે. નવા મુખ્યમંત્રીને લઈને રાજકીય વર્તુળોમાં વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે. વર્તમાન નાયબ મુખ્યમંત્રી અને ભાજપ નેતા સમ્રાટ ચૌધરીને આ પદ માટે અગ્રણી દાવેદાર માનવામાં આવી રહ્યા છે. નિશાંત કુમાર વિશે પણ અટકળો ચાલી રહી છે.
બિહારના રાજકીય વર્તુળોમાંથી વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન એ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમણે સોમવારે બાંકીપુર વિધાનસભા મતવિસ્તારમાંથી રાજીનામું આપ્યું છે. રાજ્યસભામાં ચૂંટાયા બાદ, તેમણે બંધારણીય ધોરણોનું પાલન કરીને બિહાર વિધાનસભામાંથી રાજીનામું આપ્યું છે.