તમે ભલે એમ માનતા હો કે ઉદિત નારાયણ હમણાથી લાઇમ લાઈટમાં નથી. વાત ઘણે અંશે સાચી છે પણ ઉદિત ચાલતો નથી એવું નથી. પણ ઉદિતે હમણાના વર્ષોમાં પોતાની જાતને મર્યાદિત કરી નાખી છે. નહીતર એક સમયે બીબીસી દ્વારા ‘ટોપ ૪૦ બોલીવૂડ સાઉન્ડ ટ્રેક ઓફ ઓલટાઈમ’ની યાદીમાં એમના ગાયેલા ૨૧ ગીત હતાં. એક અંદાજ પ્રમાણે, ઉદિતે ૩૬ ભાષામાં ૩૦ હજારથી વધુ ગીતો ગાયા છે.
સિત્તેરના દાયકામાં રેડીઓ નેપાળના સ્ટાફ આર્ટીસ્ટ તરીકે તેમણે શરૂઆત કરી. આઠેક વર્ષ પછી ઉદિતને ભારતીય શાસ્ત્રીય સંગીત શીખવાની સ્કોલરશીપ મળી એટલે એ ભારતીય વિદ્યાભવન, મુંબઈમાં આવ્યા. આનંદ મિલિન્દના સંગીતમાં અલકા યાજ્ઞિક સાથે ફિલ્મ ‘કયામત સે કયામત તક’ના તમામ ગીતો ગાયા અને એ માટે ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો.
હાલ ઉદિત નારાયણ મુંબઈમાં રહે છે. તેમણે દીપા ગાહતરાજ અને રંજના ઝા સાથે લગ્ન કર્યા છે. શરૂઆતમાં એમણે રંજના સાથે લગ્ન થયા હોવાનો ઇનકાર કર્યો હતો, પણ લગ્નના ફોટા અને સાક્ષીઓની જુબાની સ્વીકારીને બિહાર મહિલા કમિશને ઉદિત સાથે લગ્ન થયા હોવાનો રંજનાનો દાવો સ્વીકાર્યો હતો. આ પહેલાં ઉદીતે નેપાળી ગાયિકા દીપા સાથે ૧૯૮૪માં લગ્ન કર્યા હતાં.
ઉદિતે ૧૯૯૦ અને ૨૦૦૦ના દાયકામાં અનેક મોટા સ્ટાર્સને અવાજ આપ્યો હતો. તેમાં અમિતાભ બચ્ચન, રાજેશ ખન્ના અને દેવઆનંદનો સમાવેશ થાય છે. આ યાદીમાં ઋત્વિક રોશનથી લઇને અક્ષય કુમાર સુધીના ’90ના દાયકામાં ઉગેલાં મોટાં માથાં પણ ગણી લેવાનાં. આમ તો એમણે દરેક જાણીતી ગાયિકા સાથે જોડી જમાવી, પણ તેમના સૌથી વધુ યુગલ ગીતો અલકા યાજ્ઞિક સાથે સંભાળવા મળે છે.
ઉદિત જે ફિલ્મોના ગીતો માટે યાદ રહેશે તેમાં ‘કયામત સે કયામત તક’, ‘દિલ’, ‘આશિકી’, ‘હમ’, ‘ફૂલ ઔર કાંટે’, ‘બેટા’, ‘જો જીતા વોહી સિકંદર’, ‘ડર’, ‘કભી હાં કભી ના’, ‘મોહરા’, ‘રંગીલા’, ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’, ‘રાજા હિન્દુસ્તાની’, ‘દિલ તો પાગલ હૈ’, ‘કુછ કુછ હોતા હૈ’, ‘દિલ સે’, ‘મન’, ‘હમ દિલ દે ચુકે સનમ’, ‘તાલ’, ‘હમ સાથ સાથ હૈ’, ‘મિશન કાશ્મીર’, ‘કહો ના પ્યાર હૈ’નો સમાવેશ થાય છે.
કોઇ તેને નવા સમયનો રફી કહે છે તો કોઈને તેનામાં મહેન્દ્ર કપૂર અને મન્નાડે પણ દેખાય છે. પણ સમય જતાં તારણ એટલું જ નીકળે છે કે ઉદિત નારાયણ એ ઉદિત નારાયણ જ છે. ઉદિત પાસે તેનું પોતીકું ગળું છે. કિશોર દા અને લતાના અવાજમાં એક અલૌકિકતા અને દિવ્યતાનો જે અનુભવ થાય છે તેવો જ અનુભવ ઉદિત નારાયણ પાસે પણ થાય છે. કોઈ પણ કવિની કલમે લખાયેલું ગીત ઉદિત નારાયણના કંઠેથી પસાર થાય છે ત્યારે તે દિવ્ય અને ભવ્ય બની જાય છે… લોકો જે કંઇ બોલે છે લૌકિક લાગે છે, પણ એ જ શબ્દો ઉદિત નારાયણ બોલે તો તે અલૌકિક લાગે છે…