વિધાનસભા ખાતે પત્રકાર પરિષદમાં વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આજે ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. દરેક વિસ્તાર કે વિભાગ જુઓ બધી જ જગ્યાએ ભ્રષ્ટાચાર વ્યાપક બન્યો છે. એવો જ એક દાખલો, ફરિયાદ લઈને રાજ્યના મંત્રીશ્રીના પોતાના વિસ્તારના, દેવગઢ બારિયાના સ્થાનિક લોકો રજૂઆત કરવા આવ્યા છે. એમને બધા જલોકોએ એફિડેવિટ કરી, સોગંધનામું રજુ કરીને પોતાની રજૂઆત આપી છે કે મનરેગા યોજનામાં દાહોદ જીલ્લાના દેવગઢ વરિયા તાલુકામાં ૧૦૦ કરોડ કરતા વધારે રકમનો ભ્રષ્ટાચાર થયો છે એની તપાસ થવી જોઈએ અને જવાબદારો સામે પગલા લેવા જોઈએ એવી માંગણી લઈને અરજદારો આવ્યા છે.
દાહોદ જીલ્લાના દેવગઢ બારિયાના કુવા ગામે એક જ ગામમાં ૪૪ જેટલા રસ્તા મનરેગા યોજનામાં મંજુર કરવામાં આવે છે, જેની અંદાજીત ૧૭ કી.મી. જેટલી લંબાઈ છે, એજ રીતે બીજા રેઢાણા ગામમાં ૩૩ રસ્તા મંજુર કરવામાં આવ્યા, જેની અંદાજીત લંબાઈ ૧૩ કી.મી. છે. આ બધા જ કામોમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ છે.
એફિડેવિટમાં રજુ કર્યા મુજબ લગભગ ૪૭ લાખના કામો છે. જેમાં કામ મંજુર કરવામાં આવે છે, સ્થળ ઉપર એક પણ રૂપિયાનું કામ થતું નથી, બારોબર બીલ લખવામાં આવે છે, પૈસા ચૂકવી દેવામાં આવે છે, અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે. છેલ્લા ત્રણ વર્ષથી સતત સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવા છતાં ભ્રષ્ટાચાર અટકતો નથી અને ભ્રષ્ટાચારને રોકવા માટે સરકાર તરફથી કોઈપણ કડક કાર્યવાહી થતી નથી કારણે ત્યાં સ્થાનિક મંત્રીશ્રીના આશીર્વાદથી ભ્રષ્ટાચાર ચાલે છે. એવો સ્થાનિકોનો સ્પષ્ટ આક્ષેપ છે. ચેકડેમના કામો, માટી મેટલ, રસ્તાના કામો, તળાવ ઊંડા કરવાના કામો, નહેરોની સુધારણાના કામો, હેન્ડપંપ અને બોરના કામો, આ બધા કામોમાં ત્રણ એજન્સીઓ મટીરીયલ સપ્લાય કરવાનો કોન્ટ્રાકટ લે છે. એમાં ૧. રાજ ટ્રેડર્સ, ૨. રાજ કન્સ્ટ્રકશન, ૩. એન. જે. એન્ટરપ્રાઈઝ, આ ત્રણેય એજન્સીઓના વહીવટકર્તાઓ અને માલિક છે એની તપાસ કરીએ તો મંત્રીશ્રીના અંગત, નજીકના, પરિવારના લોકો છે. સ્થાનિક લોકોએ એફિડેવિટ દ્વારા કીધુ છે કે આ ત્રણ એજન્સીઓના નામે બીલ બને છે, આ ત્રણ એજન્સી સ્થળ ઉપર એકપણ રૂપિયાનું કામ કર્યા સિવાય બારોબાર પૈસા ઉપાડી લે છે. જયારે એની સામે ફરિયાદ કરવામાં આવે છે તો રાજકીય પીઠબળ હોવાને કારણે, આખી સરકાર એમાં સામેલ હોવાને કારણે કોઈપણ જાતના પગલા લેવાતા નથી.
ત્યારે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે, ત્યાના ગરીબ, બક્ષીપંચ, આદિવાસી સમાજના લોકો ફરિયાદ લઈને ગાંધીનગર સુધી આવ્યા છે, એફિડેવિટ કરીને પોતાની રજૂઆતો આપી છે. એ મંત્રીશ્રીના આશીર્વાદથી સરકારમાં બેઠેલા લોકોની મિલીભગતથી દાહોદ જીલ્લાના દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં છેલ્લા ત્રણ વર્ષમાં ૧૦૦ કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર થયો છે. આખા દાહોદ જીલ્લામાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર ચાલે છે એની વારંવાર પુરાવાઓ સાથે રજુઆતો કરવા છતાં આજદિન સુધી કોઈ તપાસ કે કાર્યવાહી નથી થઇ એ તમામ કામોની, એસ.આઈ.ટી. બનાવીને વિજીલન્સ દ્વારા તપાસ કરવામાં આવે અને જે પણ જવાબદાર લોકો હોય એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી માંગણી કરીએ છીએ. કોંગ્રેસ પક્ષ તરફથી પણ જે કામો કર્યા સિવાય કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે એની તપાસ કરવા માટે કમિટી બનાવીને મોકલવામાં આવશે અને સરકાર તપાસ નહિ કરે તો બિનરાજકીય રીતે સામાજિક સંગઠનોને જોડીને તપાસ કરાવીને ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવામાં આવશે.