ભારતીય ટેસ્ટ ટીમ લગભગ એક અઠવાડિયા પછી લીડ્‌સના હેડિંગલી મેદાન પર ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી શરૂ કરવા જઈ રહી છે. તે પહેલાં, બેકનહામમાં ભારતીય સિનિયર ટીમ અને ઈન્ડિયા-એ ટીમ વચ્ચે ઈન્ટ્રા-સ્ક્વોડ પ્રેકટીસ મેચ રમાઈ રહી છે. મેચની શરૂઆત ભાવનાત્મક ક્ષણ સાથે થઈ હતી, જ્યારે બધા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફે અમદાવાદ વિમાન દુર્ઘટનાના પીડિતોની યાદમાં એક મિનિટનું મૌન પાળ્યું હતું. આ ઉપરાંત, ટીમના તમામ સભ્યો કાળી પટ્ટી પહેરીને મેદાન પર આવ્યા હતા.
હકીકતમાં, ૧૨ જૂનના રોજ એક મોટો અકસ્માત થયો હતો, જ્યારે બોઇંગ ૭૮૭ ડ્રીમલાઇનર (એઆઇ ૧૭૧) વિમાન અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ઉડાન ભરી હતી. થોડા સમય પછી, આ વિમાન ક્રેશ થયું. વિમાનમાં ૨૪૨ લોકો સવાર હતા, જેમાંથી એક સિવાય બધાએ જીવ ગુમાવ્યા.
બીસીસીઆઇએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે બેકનહામમાં ચાલી રહેલી ઇન્ટ્રા-સ્ક્વોડ મેચમાં, ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફે હાથમાં કાળી પટ્ટી બાંધીને વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી. મેચ શરૂ થતાં પહેલાં બધાએ એક મિનિટનું મૌન પણ પાળ્યું હતું. તે જ સમયે, ટીમના મુખ્ય કોચ, ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલ, સિનિયર ખેલાડીઓ કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજા, ઇંગ્લેન્ડ પ્રવાસ પર રહેલા અન્ય ભારતીય ખેલાડીઓએ પણ આ દુઃખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો.
ભારતીય ક્રિકેટ દિગ્ગજ સચિન તેંડુલકરે પણ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લખ્યું – અમદાવાદમાં વિમાન દુર્ઘટનાથી આઘાત અને ઊંડો દુઃખ. આ એક અત્યંત હૃદયદ્રાવક ઘટના છે. હું દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરું છું અને આ મુશ્કેલ સમયમાં તેમના પરિવારોને શક્તિ આપે તેવી ભગવાનને પ્રાર્થના કરું છું.
નોંધનીય છે કે ભારતીય ટીમ ૫ મેચની ટેસ્ટ શ્રેણી રમવા માટે ઇંગ્લેન્ડમાં છે. પહેલી ટેસ્ટ ૨૦ જૂનથી શરૂ થશે. ટીમની કમાન યુવા શુભમન ગિલના હાથમાં છે. ગિલની કેપ્ટનશીપની ખરી કસોટી ઇંગ્લેન્ડની ધરતી પર થવાની છે. આવી સ્થિતિમાં, ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ ટીમની અંદરની મેચમાં કોઈ કસર છોડવા માંગશે નહીં. ભારતીય ટીમમાં ઘણા નવા ચહેરાઓ છે, જેમને ઇંગ્લેન્ડની પરિસ્થિતિમાં પોતાને સાબિત કરવાની ઉત્તમ તક મળશે.