મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા અધ્યક્ષ તથા રાજ્ય મંત્રી મંડળના મંત્રીઓની પ્રેરક ઉપÂસ્થતિમાં અંબાજીથી એકતા નગર સુધી યોજનારી જનજાતિય ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતુ. તારીખ ૭ થી ૧૩ નવેમ્બર સુધી અંબાજીથી એકતાનગર  અને ઉમરગામથી એકતાનગર સુધી કુલ ૧,૩૭૮ કિ.મી.ની ‘જન જાતિય ગૌરવ યાત્રા’નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આઝાદીની લડતમાં અગ્રેસર રહેલા આદિવાસી બાંધવોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમૃતકાળના ભારતની વિકાસયાત્રામાં ભાગીદાર બનાવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન બિરસા મુંડાની દોઢસોમી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે યોજાઇ રહેલી જનજાતિય ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવતા સ્પષ્ટ પણે જણાવ્યું કે, “જેને કોઈ ન પૂછે તેને વડાપ્રધાન નરેન્દ્રભાઇ પૂજે છે.”તેમણે કહ્યું કે, આઝાદીની લડતમાં ભગવાન બિરસા મુંડાના નેતૃત્વમાં અગ્રેસર રહેલા આદિવાસીઓને વડાપ્રધાને અમૃતકાળના ભારતની આ વિકાસયાત્રામાં ભાગીદાર બનાવ્યા છે. એટલું જ નહીં, સ્વાતંત્ર્ય વીર ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતીને ‘જન જાતિય ગૌરવ દિવસ’ તરીકે ઉજવવાની નવી પરંપરા પણ તેમણે ૨૦૧૧થી ઊભી કરી છે.આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આ વર્ષે થઈ રહી છે. સ્વાતંત્ર્ય સંગ્રામમાં બિરસા મુંડાની આગેવાનીમાં આદિજાતિઓના ઐતિહાસિક યોગદાનને આજની પેઢી જાણે અને તેમાંથી રાષ્ટ્રનિર્માણની પ્રેરણા મેળવે તેવા ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાનના નેતૃત્વમાં આ વર્ષ “જનજાતીય ગૌરવ વર્ષ” તરીકે ઉજવાઈ રહ્યું છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજીધામથી આ ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવતાં એમ પણ કહ્યુ કે, વડાપ્રધાને તેમના કાર્યકાળમાં આદિવાસીઓના સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપતા અનેકો કલ્યાણ કાર્યક્રમો સાકાર કર્યા છે. તેમણે ગુજરાતમાં આદિજાતિઓના સામાજિક-આર્થિક ઉત્કર્ષ માટે શરૂ કરાવેલી વનબંધુ કલ્યાણ યોજના રાજ્ય સરકારે ૧ લાખ કરોડના પ્રાવધાન સાથે ૨૦૨૫ સુધી લંબાવી છે તેમ પણ મુખ્યમંત્રી ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ ‘પી.એમ. જનમન અભિયાન’માં રાજ્યના આદિમ જૂથોને પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસો, આદિમ જૂથ વસાહતોમાં મોબાઇલ નેટવર્ક ઉપલબ્ધ કરાવવા ૨૧ મોબાઇલ ટાવર્સ અને ફોર-જી સેવાઓ મળી છે તેની પણ ભૂમિકા આપી હતી. તેમણે આદિકર્મયોગી અભિયાન અન્વયે રાજ્યના ૧ લાખ ૪૦ હજારથી વધુ લોકોએ આદિવાસી ગામ વિઝન ૨૦૩૦ તૈયાર કરવામાં સહભાગી થઈને આદિજાતિ ગામોના સર્વાંગી વિકાસનો વિલેજ એક્શન પ્લાન તૈયાર કર્યો છે તેની સરાહના કરી હતી.આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાજી આદિવાસી સમાજના પ્રેરણાસ્રોત અને આદર્શ વ્યક્તિત્વ રહ્યા છે. તેમણે પોતાના જીવન દ્વારા ધર્મ, સંસ્કૃતિ અને આદિવાસી ઓળખને જાળવી રાખવા અવિરત પ્રયત્નો કર્યા હતા. સમાજમાં રહેલા કુરિવાજા અને અંધશ્રદ્ધાને દૂર કરવા માટે તેમણે જનજાગૃતિ ફેલાવી હતી.અધ્યક્ષે જણાવ્યું કે, ભગવાન બિરસા મુંડાએ શિક્ષણના પ્રસાર માટે વિશેષ મહત્વ આપ્યું હતું અને વ્યસનમુક્તિ માટે અભિયાન ચલાવીને સમાજ સુધારાનું કાર્ય કર્યું હતું. તેમણે આશ્રમની સ્થાપના કરીને સમાજને એક નવી દિશા આપી હતી, જે આજની યુવા પેઢી માટે પ્રેરણા આપે છે. ભગવાન બિરસા મુંડાએ અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ અગ્રેજ સરકારની દમન નીતિઓ સામે અવાજ ઉઠાવ્યો હતો. તેમના સંઘર્ષમય જીવનમાંથી આપણે રાષ્ટ્રીય એકતા, આત્મસન્માન અને ન્યાય માટે લડવાની પ્રેરણા મેળવી શકીએ છીએ. ભગવાન બિરસા મુંડાનું યોગદાન ભારતના ઈતિહાસમાં અમર રહેશે.આદિજાતિ વિકાસ, અન્ન-નાગરિક પુરવઠા રાજ્યમંત્રી પૂનમચંદ બરંડાએ જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાજીનું જીવન સંઘર્ષ, સેવા અને સમર્પણનું રહ્યું છે. તેમણે આદિવાસી સમાજને આત્મવિશ્વાસ અને એકતાનું બળ આપ્યું હતું. આજે રાજ્ય સરકાર આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે આદિજાતિ વિસ્તારમાં શિક્ષણ , આરોગ્ય અને  રોજગારની તકો વધારવા સતત પ્રયાસરત છે.જનજાતીય ગૌરવ યાત્રાના પ્રારંભ અવસરે રાજ્ય મંત્રી પ્રવીણ માળી, સ્વરૂપજી ઠાકોર, કમલેશ પટેલ, રમેશ કટારા, અગ્રણી રત્નાકરજી, રાજ્યસભાના સાંસદ બાબુ દેસાઈ, રમીલા બારા, ધારાસભ્ય અનિકેત ઠાકર, આદિજાતિ અગ્ર સચિવ શામીના હુસેન, પૂર્વમંત્રી કુબેર ડિંડોર, હરિ ચૌધરી, જિલ્લા કલેકટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બે સહિત અધિકારીઓ, મહાનુભાવો અને બહોળી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા