૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં આ બંનેમાંથી એક-એક બેઠક અનુક્રમે આપ અને ભાજપે જીતી હતી. ગત વખતે આપ ઉમેદવાર વિસાવદર બેઠક પરથી જીત્યા હતા પરંતુ બાદમાં તેઓ ભાજપમાં જોડાયા હતા. તેથી, આ બેઠક પર ચૂંટણી યોજાઈ રહી છે. આપે આ બેઠક પરથી તેના ભૂતપૂર્વ ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાને મેદાનમાં ઉતાર્યા છે.આપમાં તેમનું મહત્વ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમનું ફોર્મ ભરાવવા અરવિંદ કેજરીવાલ ખુદ દિલ્હીથી આવ્યા હતા. ભાજપે આ બેઠક પરથી કિરીટ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. નીતિન રાણપરિયા કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી રહ્યા છે.
૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે રાજ્યની ૧૮૨ બેઠકોમાંથી ૧૫૬ બેઠકો જીતી હતી. પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના નેતૃત્વમાં ભાજપે આ મહાન સિદ્ધિ હાંસલ કરી હતી. આ બધું હોવા છતાં જૂનાગઢની વિસાવદર બેઠક પરથી પાર્ટીને સફળતા મળી ન હતી. આ બેઠક આમ આદમી પાર્ટીના ભૂપેશ ભાયાણીએ જીતી હતી.
છેલ્લા ૧૮ વર્ષથી ભાજપ આ બેઠક પર ચૂંટણી જીતી શક્યું નથી. તેથી જ આ વખતે પાર્ટીએ આ બેઠકને પ્રતિષ્ઠાના જંગમાં ફેરવી દીધી છે અને ચૂંટણી પ્રચારની જવાબદારી સીઆર પાટીલને સોંપી છે. આ બેઠક પર ચૂંટણી એટલા માટે થઈ રહી છે કારણ કે આપના ધારાસભ્ય ભૂપેશ ભાયાણી વિધાનસભા બેઠક પરથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા.
એક સમયે આ બેઠક ભાજપના દિગ્ગજ નેતા કેશુભાઈ પટેલનો મતવિસ્તાર હતો. ગઈ વખતે ભાજપ આ બેઠક સાત હજાર મતોથી હારી ગયું હતું. આ વખતે આ બેઠક ભાજપ માટે પ્રતિષ્ઠાનો વિષય બની ગઈ છે કારણ કે અરવિંદ કેજરીવાલે આ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા પોતાના નેતા ગોપાલ ઇટાલિયાને ગુજરાતમાં આપના હીરો ગણાવ્યા અને ભાજપને પડકાર ફેંક્યો.
મહેસાણા જિલ્લાની કડી બેઠકનો ૨૦૦૯ માં અનામત શ્રેણીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. તે પહેલા ભાજપના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અહીંથી ચાર વખત ચૂંટણી જીતી ચૂક્્યા છે. કડી બેઠક પર ચૂંટણી યોજાઈ રહી છે કારણ કે અહીંથી ભાજપના ધારાસભ્ય કરસનભાઈ સોલંકીનું અવસાન થયું હતું. આ કારણે આ બેઠક ખાલી પડી હતી.
ભાજપે અહીંથી રાજેન્દ્ર ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે કડીથી રમેશ ચાવડાને ટિકિટ આપી છે. રમેશ ચાવડાએ ૨૦૧૨માં કડીથી ચૂંટણી જીતી હતી. ૨૦૧૭માં કરસનભાઈ સોલંકીએ આ બેઠક જીતી હતી. આપે અહીંથી જગદીશ ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે. વિસાવદર અને કડી બેઠકો માટે મતગણતરી ૨૩ જૂને થશે.