ઉત્તર પ્રદેશના સંભલથી સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય ઇકબાલ મહમૂદે કહ્યું કે અલ્હાબાદ હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલ આદેશ અમને સ્વીકાર્ય નથી. તેમણે દાવો કર્યો હતો કે જામા મસ્જીદની સમિતિ સંભલની નીચલી કોર્ટના સર્વે સામે સુપ્રીમ કોર્ટમાં જશે. તેમણે કહ્યું કે તેમને આશા છે કે અમને સુપ્રીમ કોર્ટ તરફથી ન્યાય મળશે. સોમવારે અલ્હાબાદ હાઈકોર્ટે સિવિલ જજના ૧૯ નવેમ્બર, ૨૦૨૪ના આદેશને સમર્થન આપ્યું. જે અંતર્ગત શાહી જામા મસ્જીદના સર્વેક્ષણ માટે કોર્ટ કમિશનરની નિમણૂક કરવામાં આવી હતી.

મસ્જીદ સમિતિએ દલીલ કરી હતી કે મુઘલ યુગની મસ્જીદનો સર્વે ગેરકાયદેસર હતો. તેમણે કહ્યું કે ખાસ કરીને ૨૪ નવેમ્બરના રોજ કરવામાં આવેલ બીજા સર્વે ગેરકાયદેસર હતો, જેના કારણે મસ્જીદ પાસે હિંસક અથડામણ થઈ હતી જેમાં ચાર લોકો માર્યા ગયા હતા. ન્યાયાધીશ રોહિત રંજન અગ્રવાલે જણાવ્યું હતું કે આ કેસ પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો અને અવશેષો અધિનિયમ, ૧૯૫૮ હેઠળ સંરક્ષિત સ્મારકની ઍક્સેસ સાથે સંબંધિત છે, અને તેમાં “પૂજા સ્થળનું રૂપાંતર” શામેલ નથી.

મુઘલ યુગની શાહી જામા મસ્જીદના સર્વેક્ષણના આદેશને પડકારતી અરજીને અલ્હાબાદ હાઈકોર્ટે ફગાવી દીધા બાદ પોલીસે સોમવારે જિલ્લાના મુખ્ય રસ્તાઓ પર ‘ફ્લેગ માર્ચ’ કરી હતી. પોલીસ અધિક્ષક કૃષ્ણ કુમાર બિશ્નોઈએ ‘ફ્લેગ માર્ચ’નું નેતૃત્વ કર્યું. તેમણે ચેતવણી આપી હતી કે જો કોઈ ગેરકાયદેસર રીતે વિરોધ કરવાનો અથવા ભડકાઉ સંદેશા ફેલાવવાનો પ્રયાસ કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

બિશ્નોઈએ પત્રકારોને જણાવ્યું હતું કે ‘ફ્લેગ માર્ચ’ દૈનિક પોલીસ પેટ્રોલિંગનો એક ભાગ છે પરંતુ શાહી જામા મસ્જીદના સર્વેક્ષણ અંગે હાઈકોર્ટના આદેશને ધ્યાનમાં રાખીને તેને વધુ તીવ્ર બનાવવામાં આવ્યું છે. તેમણે કહ્યું, “પોલીસ રસ્તાઓ પર છે અને સાયબરસ્પેસ પર નજર રાખી રહી છે જેથી કોઈ પણ કાયદો પોતાના હાથમાં ન લઈ શકે. કોર્ટના આદેશ સાથે જે કોઈ સંમત થાય કે અસંમત હોય તે અપીલ દાખલ કરવા માટે સ્વતંત્ર છે પરંતુ જો કોઈ ગેરકાયદેસર રીતે વિરોધ કરવાનો અથવા ભડકાઉ સંદેશા ફેલાવવાનો પ્રયાસ કરે છે, તો કડક કાર્યવાહી કરવામાં આવશે. કાનૂની લડાઈ રસ્તાઓ પર નહીં પણ કોર્ટમાં લડવી જોઈએ. બિશ્નોઈએ કહ્યું, “અમારા સાયબર કમાન્ડો સોશિયલ મીડિયા પ્રવૃત્તિ પર નજર રાખી રહ્યા છે જેથી કોઈ બેજવાબદાર પોસ્ટ ન થાય.