ગુજરાત રાજ્યમાં હાલમાં તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો સામે મેગા ડિમોલિશનની ઝૂમ્બેશ ચાલી રહી છે. જુદા-જુદા શહેરોમાં બુલડોઝર એક્શન દ્વારા ગેરકાયદેસર દુકાનો, ગોડાઉનો અને ધાર્મિક સ્થાનો દૂર કરવામાં આવી રહ્યા છે. ત્યારે જામનગર , વલસાડ અને ગાંધીનગરમાં પણ મેગા ડિમોલિશન કરવામાં આવ્યું છે.
જામનગર શહેરમાં મહાપ્રભુજી બેઠક રોડ પર તંત્ર દ્વારા મોટા પાયે ડિમોલિશન હાથ ધરાયું છે. અહીં આશરે ૯૫ જેટલી ગેરકાયદે દુકાનોને તોડી પાડવામાં આવી છે. તંત્ર દ્વારા વેપારીઓને અગાઉથી અનેક વખત નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં દબાણ દૂર ન કરતા છેલ્લે બુલડોઝર ચલાવવામાં આવ્યું. અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો અને મનપાની વિવિધ ટીમોએ કામગીરીમાં ભાગ લીધો હતો. ખીજડીયા બર્ડ સેન્ચ્યુરી પાસે આવેલ ધાર્મિક દબાણોને પણ દૂર કરવામાં આવ્યા હતા.
તેમજ, ગાંધીનગર જિલ્લામાં દરિયાઈ સુરક્ષાને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠાના વિસ્તારોમાંથી પણ દબાણો દૂર કરાયા છે. જામનગર જિલ્લાના મરીન સેન્ચ્યુરી, ખીજડીયા બર્ડ સેન્ચ્યુરી અને મેન્ગ્રૂવ વિસ્તારમાં ૭ અનધિકૃત ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા છે. આ દબાણો છેલ્લા ૧૦ વર્ષથી ગેરકાયદેસર કબ્જામાં હતા. તંત્રએ અહીંથી આશરે ૯ હજાર સ્ક્વેર ફૂટની જમીન મુક્ત કરાવી છે.
વલસાડ જિલ્લાના વાપી શહેરમાં પણ મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલિશન ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. વાપી ઉદ્યોગનગર તરીકે ઓળખાય છે, અને અહીં ઘણા ભંગારના ગેરકાયદેસર ગોડાઉનો રેહણાંક વિસ્તારમાં ઉભા થયા હતા. આ ગોડાઉનમાંથી હેઝાર્ડસ કેમિકલ વેસ્ટ સંગ્રહ થતો હતો અને અગાઉ અનેક આગની ઘટનાઓ પણ બની હતી. જેનાથી સ્થાનિક હવા, પાણી અને જમીનનું ભારે પ્રદૂષણ થતું હતું.
મહાનગરપાલિકાએ અગાઉ નોટિસ આપીને ચેતવણી આપી હતી, પરંતુ અસર ન થતાં હવે બુલડોઝર એક્શન શરૂ કરાયું છે. વાપીના મોરાઈ અને બલીઠા વિસ્તારમાં નદી કાંઠે આવેલા ૫૦ જેટલા ગેરકાયદેસર ગોડાઉન તોડી પાડવામાં આવ્યા છે. તંત્રએ સ્પષ્ટ કરેલું છે કે આવનારા દિવસોમાં બાકીના બધા ગેરકાયદેસર ગોડાઉન પણ દૂર કરાશે. આ રીતે સમગ્ર રાજ્યમાં તંત્રની આ ઝૂમ્બેશ અનધિકૃત દબાણો વિરુદ્ધ કડક કાર્યવાહી તરીકે જાવામાં આવી રહી છે.