જાફરાબાદ તાલુકાના જીકાદ્રી ગામે ખેત મજૂરના છ થી સાત વર્ષના બાળક પર સિંહણે હુમલો કરી દેતા બાળકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે. મહુવા તાલુકાના ડોળીયા ગામના વતની લાલજીભાઈ જોળીયા ખેત મજૂરી માટે જાફરાબાદ તાલુકાના જીકાદ્રી ગામે આવ્યા હતા.આજે સાંજના સમયે તેઓ પરીવાર સાથે કપાસ લઈને જઈ રહ્યા હતા ત્યારે તેમની પાછળ તેમના બે બાળકો આવી રહ્યા હતા. તે દરમિયાન અચાનક જ સિંહણ બાળકો સામે આવી ગઈ હતી અને ઘુરકિયા કરવા લાગી હતી. બાળકો કંઈ સમજે તે પહેલા તો આરુષ લાલજીભાઈ જોળીયા નામના એક બાળકને ઉઠાવી ગઈ હતી અને બાળકને ફાડી ખાધો હતો. ઘટનાની જાણ થતા જ વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતબાળકને પીએમ અર્થે જાફરાબાદ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.