સિંહબાળના મોત અંગે એનિમલ ડોકટરોની ટીમ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા

રોગચાળાની આશંકા વચ્ચે ૧૧ સિંહોનું રેસ્ક્યુ કરી પાંજરે પૂર્યા

જાફરાબાદ તાલુકાના કાગવદર સીમ વિસ્તારમાં બે સિંહબાળના શંકાસ્પદ રીતે મોત થતાં ભેદી રોગચાળાની આશંકા સેવાઈ રહી છે. આ ઘટના બાદ વનવિભાગ દ્વારા ૧૧ સિંહોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ૯ સિંહબાળ અને ૧ સિંહણને પાંજરે પૂરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જે સિંહબાળનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તેમની હાલત અત્યંત નાજુક છે. ૨ સિંહબાળના શંકાસ્પદ મોત અને અન્યની નાજુક હાલત જોતા વનવિભાગમાં ચિંતા વ્યાપી છે અને સિંહબાળમાં કોઈ ભેદી રોગચાળો ફાટી નીકળ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ મામલે પાલીતાણા શેત્રુંજી ડિવિઝન હેઠળ આવતી જાફરાબાદ રેન્જમાં વનવિભાગ દોડતું થયું છે. જાફરાબાદ તાલુકામાં રેવન્યુ વિસ્તાર, માઇન્સ વિસ્તાર અને ઉદ્યોગોમાં વસવાટ કરતા સિંહોના સ્કેનિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. વનવિભાગ દ્વારા આ અંગે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. સિંહબાળના સેમ્પલ લેવામાં આવશે અને એનિમલ ડોક્ટરની ટીમ દ્વારા તેમના સ્વાસ્થ્યની ચકાસણી કરવામાં આવશે.

ડીસીએફ જયન પટેલે ફોન ઉપાડવાની પણ તસ્દી લીધી નહી
જાફરાબાદનો વન વિસ્તાર પાલીતાણા શેત્રુંજી ડિવિઝન હેઠળ આવે છે. જા કે સિંહબાળના મોત ભેદી રોગચાળાથી થયા છે કે કેમ? તે બાબતે ડીસીએફ જયન પટેલને ફોન કરવામાં આવતા તેમણે ફોન ઉપાડવાની તસ્દી પણ લીધી નહોતી. આવી ગંભીર ઘટના બનતા વન અધિકારીઓ જ ફોન ઉપાડે નહી ત્યારે તેમની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.