અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ભૂમાફિયાઓ બેફામ બન્યા છે અને બેરોકટોક ખનીજ ચોરી કરી રહ્યા છે. થોડા દિવસથી લોકોએ આ અંગે તંત્ર સામે અવાજ ઉઠાવતા જિલ્લાભરમાં ખાણ-ખનીજ વિભાગે દેખાડવા પુરતી કાર્યવાહી હાથ ધરી છે. જે અંતર્ગત જાફરાબાદ મામલતદારે ખનીજ ચોરી કરતા તત્વોને ઝડપી પાડવા ડ્રાઈવ યોજી હતી. ડ્રાઈવ દરમિયાન પાંચ ટ્રક ખનીજ ચોરી અને ઓવરલોડ અને સાત ટ્રેકટર સફેદ બેલા ભરેલા ઝડપાયા હતા. તમામ ૧ર વાહનોને ઝડપી લઈ મામલતદારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તંત્રની કામગીરીથી ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે અને આવી કાર્યવાહી વારંવાર થતી રહે તેવી લોકોમાંથી માંગ ઉઠી છે.