મને ખબર નથી જદયુ પ્રમુખ
ચિરાગ પાસવાનના નિવેદનોથી બિહારનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) ના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાને અરાહમાં યોજાયેલી જાહેર સભામાં બિહારની તમામ ૨૪૩ વિધાનસભા બેઠકો પર એકલા ચૂંટણી લડવાની જાહેરાત કરીને રાજકીય ગલિયારાઓમાં ખળભળાટ મચાવી દીધો છે. જ્યારે એનડીએના મુખ્ય ઘટક પક્ષો ભારતીય જનતા પાર્ટી અને જનતા દળ યુનાઇટેડના નેતાઓને સિવાનમાં આ નિવેદન પર પ્રતિક્રિયા આપવા માટે કહેવામાં આવ્યું, ત્યારે બંને પક્ષોના પ્રદેશ પ્રમુખો કાં તો ચૂપ રહ્યા અથવા અજ્ઞાનતા વ્યક્ત કરી.
સિવાનમાં એનડીએની વિભાગીય બેઠક પહેલા, જ્યારે પત્રકારોએ ભાજપના પ્રદેશ પ્રમુખ દિલીપ જયસ્વાલને ચિરાગ પાસવાનના નિવેદન વિશે પૂછ્યું, ત્યારે તેમણે ચાલાકીપૂર્વક તેને ટાળ્યું અને કહ્યું કે ચિરાગે એકલા નહીં, પરંતુ એનડીએ સાથે મળીને ૨૪૩ બેઠકો પર ચૂંટણી લડવાની વાત કરી છે. તેમણે પાસવાનની એકપક્ષીય ચૂંટણી જાહેરાત પર સીધી ટિપ્પણી કરી ન હતી. રાજકીય નિષ્ણાતોના મતે, દિલીપ જયસ્વાલનું આ વલણ સ્પષ્ટ સંકેત છે કે ભાજપ હાલમાં ચિરાગના નિવેદન પર કોઈ મુકાબલો ઇચ્છતી નથી.
આ સમગ્ર મામલામાં સૌથી ચોંકાવનારી પ્રતિક્રિયા જનતા દળ યુનાઇટેડના પ્રદેશ પ્રમુખ ઉમેશ સિંહ કુશવાહાની હતી. જ્યારે તેમને ચિરાગ પાસવાન દ્વારા સમગ્ર બિહારમાં એકલા ચૂંટણી લડવાની જાહેરાત અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે મને ખબર પણ નથી. તેમના નિવેદનથી જદયુની આંતરિક તૈયારી અને ગંભીરતા પર પ્રશ્નો ઉભા થયા છે, ખાસ કરીને જ્યારે ચિરાગનું આ પગલું ૨૦૨૦ ની યાદો તાજી કરી રહ્યું છે.
નોંધનીય છે કે ૨૦૨૦ ની વિધાનસભા ચૂંટણીમાં પણ ચિરાગ પાસવાને એલજેપીને એનડીએનો ભાગ ગણાવીને એકલા ચૂંટણી લડી હતી. પછી તેઓએ જદયુના ઘણા મજબૂત ઉમેદવારો સામે પોતાના ઉમેદવારો ઉભા કર્યા અને પરિણામ એ આવ્યું કે જદયુ ૮૦ બેઠકોથી ઘટીને ૪૩ બેઠકો પર આવી ગયું.એલજેપી ભલે તે ચૂંટણીમાં બેઠકો જીતી ન શકે, પરંતુ તેનાથી જદયુની વોટ બેંકમાં ચોક્કસપણે ઘટાડો થયો. હવે ફરી એકવાર એ જ વાર્તાનું પુનરાવર્તન થવાની શક્્યતા છે.
જદયુના પ્રદેશ પ્રમુખ ઉમેશ સિંહ કુશવાહાના અજ્ઞાનતાના નિવેદન અંગે રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે મુખ્યમંત્રી નીતિશ કુમાર આ બેજવાબદાર વલણ અંગે કડક પગલાં લઈ શકે છે. કારણ કે એવા સમયે જ્યારે એનડીએની એકતા અને ચૂંટણી રણનીતિની સૌથી વધુ જરૂર છે, તે જ સમયે ઘટક પક્ષો વચ્ચે મૂંઝવણ અને વાતચીતનો અભાવ પાર્ટી માટે ગંભીર સંકટ પેદા કરી શકે છે.
આ બધા વિકાસ વચ્ચે, ૨૦ જૂને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સિવાન મુલાકાત પ્રસ્તાવિત છે. ભાજપ અને જદયુ આ માટેની તૈયારીઓમાં વ્યસ્ત છે. સિવાનની એક ખાનગી હોટલમાં યોજાયેલી એનડીએ વિભાગીય બેઠકમાં કાર્યકરોને જરૂરી માર્ગદર્શિકા પણ આપવામાં આવી હતી. પરંતુ એવા સમયે જ્યારે વડા પ્રધાનની મુલાકાત પક્ષના કાર્યકરોમાં ઉત્સાહનું કારણ હોવી જાઈએ, ચિરાગના નિવેદન અને ઘટક પક્ષોના મૌનથી ગઠબંધનની જમીની એકતા પર પ્રશ્નો ઉભા થયા છે.