લોકસભામાં નક્સલવાદના મુદ્દે ચાલી રહેલી ચર્ચામાં દમણ અને દીવના સાંસદ ઉમેશ પટેલે સરકાર સામે આકરા પ્રહારો કર્યા છે. તેમણે અત્યંત માર્મિક શબ્દોમાં જણાવ્યું હતું કે, “નક્સલવાદ એ ખાલીપામાં છે જ્યાં ન્યાય નથી પહોંચ્યો.” સાંસદ પટેલે આદિવાસી વિસ્તારોમાં પ્રશાસનિક નિષ્ફળતા અને જમીન અધિકારોના મુદ્દે સરકારને ઘેરી હતી.
સાંસદ ઉમેશ પટેલે ભારપૂર્વક કહ્યું કે દેશની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ ન થઈ શકે, પરંતુ નક્સલવાદ પાછળના સામાજિક અન્યાયને અવગણી શકાય નહીં. તેમણે સવાલ ઉઠાવ્યો કે જા દર વર્ષે નક્સલવાદ ખતમ કરવાના દાવા થતા હોય, તો આ સમસ્યા વારંવાર શા માટે ઊભી થાય છે? તેમના મતે, આદિવાસી વિસ્તારોમાં જમીન અધિકારોની અસ્પષ્ટતા તેનું મુખ્ય કારણ છે અને વિકાસના નામે થતું વિસ્થાપન પણ અસંતોષ જન્માવે છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે જ્યાં સુધી પ્રશાસન લોકોનો વિશ્વાસ નહીં જીતે, ત્યાં સુધી માત્ર પોલીસ ઓપરેશનથી કોઈ ઉકેલ નહીં આવે.
ઉમેશ પટેલે સંઘ પ્રદેશના સ્થાનિક પ્રશ્નોને પણ દિલ્હીના દરબારમાં વાચા આપી હતી. તેમણે ટાઉન પ્લાનિંગ સ્કીમના વર્તમાન સ્વરૂપનો વિરોધ કર્યો અને કહ્યું કે આનાથી નાના ખેડૂતો અને આદિવાસીઓની જમીનો છીનવાઈ રહી છે, તેથી ખેડૂતો પર ‘બેટરમેન્ટ ચાર્જ’નો બોજ નાખવો અન્યાયી છે. આ ઉપરાંત, ૧૯૭૨-૭૩ના મધુબન ડેમ પ્રોજેક્ટમાં જેમણે જમીનો ગુમાવી હતી, તેમને અઢી દાયકા બાદ પણ પૂરું વળતર કે પુનઃવસન મળ્યું નથી, તે બાબતે પણ તેમણે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.
આ માંગણીઓ અંતર્ગત રજૂઆત કરવામાં આવી છે કે ટીપીએસ ૧ઇ સ્કીમની સ્વતંત્ર તપાસ થાય અને ખેડૂતોને બજાર ભાવે વળતર મળે, તેમજ નાના જમીન માલિકો પરથી ‘બેટરમેન્ટ ચાર્જ’ તાત્કાલિક હટાવવામાં આવે. આ ઉપરાંત, મધુબન ડેમ અને હાઈવે પ્રોજેક્ટના અસરગ્રસ્તોનું સંપૂર્ણ અને યોગ્ય પુનઃવસન કરવામાં આવે. સાથે જ, આદિવાસીઓના હિત માટે ‘પેસા એક્ટ’ તાત્કાલિક લાગુ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે, જેથી તેમને કુદરતી સંસાધનો પર કાયદેસરનો હક મળી શકે. લોકસભામાં સ્પીકર દ્વારા વારંવાર ટોકવામાં આવ્યા હોવા છતાં, ઉમેશ પટેલે આદિવાસીઓ અને ખેડૂતોનો પક્ષ મજબૂતીથી રજૂ કર્યો હતો.