ગુજરાતમાં કોરોનાએ ફરી હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં હાલ ૩૯૭ કોરોનાના કુલ એક્ટિવ કેસ નોંધાયા છે. માત્ર અમદાવાદમાં જ કોરોનાના કુલ ૧૯૭ એક્ટિવ કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાએ બે દર્દીનો ભોગ લીધો છે. ૧૮ વર્ષીય સગર્ભાનું કોરોનાને કારણે મોત નિપજ્યું છે.એલજી હોસ્પિટલમાં અગાઉ ૪૬ વર્ષીય મહિલાનું મોત થયું હતું. સિવિલમાં હાલ એક મહિનાની બાળકી સારવાર હેઠળ છે. અત્યારે ૩૭૫ દર્દીઓ હોમ આઈસોલેશનમાં, ૨૨ દર્દી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અમદાવાદ શેહરમાં કોરોનાના નવા ૫૦ કેસ નોંધાયા છે. જ્યારે ૧૬ દર્દી ડિસ્ચાર્જ થયા છે. કોરોનાના એક્ટિવ કેસ મામલે ગુજરાત દેશમાં ચોથા નંબર પર છે. જોકે આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે અને ટેસ્ટીંગ વધારાઈ છે.
દેશમાં કોરોનાના કેસોમાં સતત ઉછાળો જોવા મળ્યો છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૪ હજારને પાર થઈ છે. ત્યારે હાલ કોરોનાના કુલ એક્ટિવ કેસ ૪૦૨૬ છે. છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૪ દર્દીઓના મોત થયા છે. કેરળમાં સૌથી વધુ ૧૪૧૬ એક્ટિવ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં ૪૯૪ અને ગુજરાતમાં ૩૯૭ એક્ટિવ કેસ નોંધાયા છે. દિલ્લીમાં ૩૯૩ અને પશ્ચિમ બંગાળમાં ૩૭૨ એક્ટિવ કેસ નોંધાયા છે.