રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવતી સીઈટી (CET) પરીક્ષાના અમલને કારણે સરકારી શાળાઓ પર પડતા વ્યાપક પ્રભાવોને લઈ શિક્ષકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રાચી ખાતે યોજાયેલી એક વિશેષ બેઠકમાં જિલ્લાના વિવિધ શિક્ષક સંગઠનો – જેમાં પ્રાથમિક શિક્ષક સંઘ, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ તથા એચ-ટાટ આચાર્ય સંઘ સામેલ રહ્યા હતા તથા સીઈટી અંગે ચિંતન અને સંવેદનાત્મક ચર્ચા યોજી હતી. આ બેઠકમાં ૩૦૦ થી વધુ શિક્ષકો સ્વયંભૂ રીતે ઉપસ્થિત રહ્યા હતા અને સર્વસામાન્ય રીતે CET ના કારણે શાળા તેમજ શિક્ષકોની દયનિય હાલત અને ભવિષ્ય અંગે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી હતી. આ બેઠકનો ઉદ્દેશ માત્ર વિરોધ નહીં વિરોધની સાથે પણ સંવાદ અને સમસ્યાનું નિવારણ શોધવાનો હતો. ઉપસ્થિત તમામ સંગઠનોના પ્રતિનિધિઓએ આ બાબતે યોગ્ય નિરાકરણ લાવવાની પણ ખાતરી આપી હતી.