ગુજરાતના ૧૮૦૪૬ ગામોમાં જમીન રી સર્વે-માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ગામોના ક્લસ્ટર બનાવીને ખેડૂતોની હાજરીમાં જમીન માપણીની અરજીઓનો નિકાલ કરવામાં આવે છે તેમ,આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો મહેસૂલ વિભાગ વતી ઉત્તર આપતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.

મંત્રી રાજપૂતે કહ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં ૯૦૪, કોડીનારમાં ૨૧૧, વેરાવળમાં ૧૩૧ તેમજ સૂત્રાપાડા તાલુકામાં ૬૮૪ એમ ચાર તાલુકામાં તા. ૩૧ જાન્યુઆરી ૨૦૨૫ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં ખેડૂતોની કુલ ૧૯૩૦ અરજીઓની જમીન રી સર્વે કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે બાકી રહેલી અરજીઓના નિકાલ માટે ગામોના ક્લસ્ટર બનાવીને માઇક્રો પ્લાનિંગથી પૂર્ણ કરવાની કામગીરી પ્રગતિમાં છે. જે બનતી ત્વરાએ પૂર્ણ કરવામાં આવશે. આ અરજીઓનો નિકાલ કરવા માટે ખેડૂતો પાસેથી કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી તેમ, મંત્રીએ ગૃહમાં ઉમેર્યું હતું.