ગુજરાત સરકારે ગ્રામીણ જનતાના સામાજિક અને સાંસ્કૃતિક ઉત્થાન માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. વર્ષ ૨૦૨૬-૨૭ ના બજેટમાં ‘અટલવાડી યોજના’ માટે રૂ. ૬૦ કરોડની માતબર જોગવાઈ કરવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામ્ય સ્તરે અત્યાધુનિક સુવિધાઓ ધરાવતી ‘ગામની વાડી’નું નિર્માણ કરવાનો છે, જે ગ્રામજનો માટે એકતા અને વિકાસનું નવું કેન્દ્ર બનશે.અટલવાડી યોજના હેઠળ રાજ્યના ગામડાઓમાં સામાજિક, સાંસ્કૃતિક અને જાહેર કાર્યક્રમો માટે તમામ સુવિધાઓથી સજ્જ એક ચોક્કસ સ્થળ (વાડી) વિકસાવવામાં આવશે. આ સ્થળ માત્ર એક મકાન નહીં, પરંતુ ગ્રામીણ જીવનશૈલીને સશક્ત બનાવતું એક માળખું હશે.
ગામમાં નવી નિર્મિત વાડી જાહેર કાર્યક્રમો માટે ઉત્તમ સુવિધા પૂરી પાડશે, જેના કારણે હવે લગ્ન પ્રસંગો, સામાજિક મેળાવડા કે સરકારી કાર્યક્રમો માટે ગ્રામજનોએ ખાનગી હોલ કે દૂરના સ્થળો પર નિર્ભર રહેવું નહીં પડે. આ વાડી ગ્રામજનો માટે પરસ્પર સંવાદ અને ચર્ચાઓ માટેનું એક મહત્વનું કેન્દ્ર બનશે, જે ગામમાં સામાજિક એકતાને વધુ મજબૂત કરવામાં મદદરૂપ થશે. સાથે જ, ગામના સાંસ્કૃતિક ઉત્સવો અને પરંપરાગત કાર્યક્રમો માટે આધુનિક માળખાગત સુવિધા મળતા સાંસ્કૃતિક ગૌરવની જાળવણી થશે. આમ, ગામડાઓમાં શહેરો જેવી સુવિધાઓ ઉપલબ્ધ થવાથી ગ્રામીણ જીવનસ્તર ઊંચું આવશે અને ગ્રામ્ય સશક્તિકરણના એક નવા યુગની શરૂઆત થશે. સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ ના બજેટમાં આ યોજના માટે રૂ. ૬૦ કરોડ ફાળવ્યા છે. આ રકમનો ઉપયોગ ગામડાઓમાં નવી વાડીઓના નિર્માણ અને હયાત માળખાઓને આધુનિક બનાવવા માટે કરવામાં આવશે. આ પગલું ગ્રામ્ય સ્તરે સામૂહિક માળખાકીય સશક્તિકરણ તરફનું એક મહત્વપૂર્ણ સોપાન માનવામાં આવી રહ્યું છે.









































