નાગરિકોને તેમના નજીકના વિસ્તારમાં આધાર સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી સમગ્ર દેશમાં પોસ્ટ ઓફિસમાં આધાર સેવા કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. આ પોસ્ટ ઓફિસ આધાર કેન્દ્રો દ્વારા નાગરિકોને નવા આધાર નોંધણી તેમજ કોઈપણ પ્રકારના સુધારા અથવા વિસંગતતાની સ્થિતિમાં આધાર અપડેટ કરાવવામાં વિશેષ સુવિધા મળી રહી છે.

આ ક્રમમાં, આધાર સેવાઓની સતત વધતી માંગ અને નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને, ગાંધીનગરમાં સેક્ટર-૧૭ પોસ્ટ ઓફિસમાં આધાર સેવા કેન્દ્રનોશુભારંભ ૭ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ દ્વારા કરવામાં આવ્યું. સવારે ૦૮ઃ૦૦ વાગ્યાથી સાંજે ૦૬ઃ૦૦ વાગ્યા સુધી કાર્યરત આ બે નવા આધાર કાઉન્ટર સાથે હવે ગાંધીનગરમાં કુલ ૩૮ પોસ્ટ ઓફિસ આધાર સેવા કેન્દ્રો કાર્યરત થયા છે. ગાંધીનગર હેડ પોસ્ટ ઓફિસમાં પણ લોકોને સમયબદ્ધ અને સરળ સેવા ઉપલબ્ધ કરાવવાના હેતુથી સવારે ૦૮ઃ૦૦ વાગ્યાથી સાંજે ૦૬ઃ૦૦ વાગ્યા સુધી બે આધાર કાઉન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે. ઉત્તર ગુજરાત પરિક્ષેત્રમાં કુલ ૨૫૭ પોસ્ટ ઓફિસ આધાર સેવા કેન્દ્રો દ્વારા આધાર સેવાઓ ઉપલબ્ધ છે.

પોસ્ટ ઓફિસમાં આધાર નોંધણી તેમજ બાળકો માટે ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ (૫–૭ વર્ષ અને ૧૫–૧૭ વર્ષના વય જૂથ માટે) સંપૂર્ણપણે નિઃશુલ્ક આપવામાં આવે છે. જ્યારે નામ, સરનામું, જન્મ તારીખ અથવા મોબાઇલ નંબર જેવા ડેમોગ્રાફિક સુધારાઓ માટે ૭૫ ફી નિર્ધારિત કરવામાં આવી છે. ફિંગરપ્રિન્ટ અને ફોટો અપડેટ જેવા બાયોમેટ્રિક સુધારાઓ માટે ૧૨૫ ફી ચૂકવવાની રહેશે.

પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે હાલમાં આધાર તમામ નાગરિકો માટે અનિવાર્ય બની ગયુ છે. આવા સમયમાં નવા આધાર સેવા કેન્દ્રોની શરૂઆત કરવાની આ પહેલ નાગરિક-કેન્દ્રિત સેવાઓને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ જ ક્રમમાં ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા તમામ શાળાઓમાં બાળકોના ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ માટે પણ વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. વિવિધ શાળાઓ પોતાની જરૂરિયાત મુજબ વિશેષ કેમ્પ યોજવા માટે પોસ્ટ વિભાગને વિનંતી પણ કરી શકે છે.દૂરના વિસ્તારોમાં સામાન્ય લોકો સુધી પહોંચ સુનિશ્ચિત કરવા માટે પોસ્ટ ઓફિસમાં લેપટોપ આધાર કિટોના માધ્યમથી કેમ્પ દ્વારા આધાર નોંધણી તથા અપડેટ કરવાની સુવિધા આપવામાં આવી રહી છે, જેથી છેવાડા સુધી સેવાઓની અસરકારક પહોંચ સુનિશ્ચિત થઈ રહી છે. આ પહેલ ડિજિટલ ઇન્ડિયા, જનસેવા અને છેવાડા સુધી સેવાઓ પહોંચાડવાની દિશામાં પોસ્ટ વિભાગની પ્રતિબદ્ધતાને સ્પષ્ટ રીતે દર્શાવે છે.ગાંધીનગર મંડળના પ્રવર અધિક્ષક  શિશિર કુમારે જણાવ્યું કે યુઆઈડીએઆઈ દ્વારા જારી કરવામાં આવેલ માર્ગદર્શિકાઓ અનુસાર દરેક વ્યક્તિએ આધાર નોંધણી/અપડેટ કેન્દ્ર પર ઓછામાં ઓછા ત્રણ વખત હાજર રહેવું જરૂરી છે. પ્રથમ વખત ૦૫ વર્ષની ઉંમર સુધી નવું આધાર નંબર મેળવવા માટે, બીજી વખત ૦૫ વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ બાળકના પોતાના બાયોમેટ્રિક વિગતો ફરજિયાત રીતે અપડેટ કરાવવા માટે અને ત્રીજી વખત ૧૫ વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ વ્યક્તિના પુનઃ બાયોમેટ્રિક અપડેટ માટે કેન્દ્ર પર હાજર રહેવું જરૂરી બને છે. બાળકો માટે ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ (૫–૭ વર્ષ તથા ૧૫–૧૭ વર્ષની ઉંમર જૂથમાં) સંપૂર્ણપણે નિઃશુલ્ક છે. આ પ્રસંગે ગાંધીનગરના પ્રવર અધિક્ષક શિશિર કુમાર, સહાયક નિદેશક  વી એમ વહોરા, ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ દીપક વાઢેર  તથા નિરીક્ષક  ચિરાગ સુથાર  સહિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.