ગુજરાતના ગાંધીનગર નશાબંધી વિભાગના નાયબ નિયામક કેતન દેસાઈ પર બનાસકાંઠાના ભાજપ નેતા મહેશ દવે દ્વારા ૧૦૦૦ કરોડથી વધુના ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે. આ આક્ષેપો અનુસાર, દેસાઈએ પોતાના અંગત ફાયદા માટે મોલાસીસના વેપારીઓને ગેરકાયદે લાભ પહોંચાડી સરકારની આવકને મોટું નુકસાન પહોંચાડ્યું છે. આ ઘટનાએ રાજ્યના રાજકીય અને વહીવટી વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો છે.
મહેશ દવેના જણાવ્યા અનુસાર, કેતન દેસાઈએ બનાસકાંઠાની સરહદ પરથી મોલાસીસના ટેન્કરોને ગેરકાયદેસર રીતે પસાર થવા દઈને સરકારની આવકને ૧૦૦૦ કરોડથી વધુનું નુકસાન પહોંચાડ્યું છે. આ ઉપરાંત, મોલાસીસના સ્ટોરેજ અને સપ્લાય સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કરીને દેસાઈએ મોટું કૌભાંડ આચર્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ આક્ષેપોમાં એવો પણ દાવો છે કે દેસાઈએ મોલાસીસના વેપારીઓ સાથે મળીને ગેરકાયદેસર નાણાકીય લાભ મેળવ્યો, જેથી સરકારની રેવન્યુ આવકને ભારે નુકસાન થયું.
મહેશ દવેએ આ મામલે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ અને આઇએએસ અધિકારી એમ. કે. દાસને લેખિત અરજી કરી, આ ગંભીર આક્ષેપોની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. તેમણે “ઓપરેશન ગંગાજળ” હેઠળ ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ, વરિષ્ઠ આઇએએસ અધિકારી અને એન્ટી-કરપ્શન બ્યુરોના આઇપીએસ પોલીસ અધિકારીની સમિતિ દ્વારા વિગતવાર તપાસની માંગ કરી છે. દવેએ આ મામલે ગાંધીનગરથી લઈને દિલ્હી સુધીના ઉચ્ચ અધિકારીઓને અરજીઓ કરી, આ કૌભાંડની ઊંડાણપૂર્વક તપાસની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
બનાસકાંઠાના પાલનપુર ખાતે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં મહેશ દવેએ આ આક્ષેપોને જાહેર કર્યા અને સરકાર પાસે આ મામલે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી. તેમણે જણાવ્યું કે આ કૌભાંડથી ગુજરાત સરકારની આર્થિક સ્થિતિને મોટું નુકસાન થયું છે અને જા સમયસર તપાસ નહીં કરવામાં આવે તો આવા કૌભાંડો ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. દવેએ રાજ્ય સરકારને આ મામલે કડક કાર્યવાહી કરવા અને જવાબદાર અધિકારીઓ સામે શિસ્તભંગની કાર્યવાહીની માંગ કરી.