લીલીયા તાલુકાની ભેંસાણ ગ્રામ પંચાયત દ્વારા ખેડૂતોનાં પ્રશ્ને આજે યોજાનારી ગ્રામસભાનો બહિષ્કાર કરવાની જાહેરાત કરતા વહિવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. લીલીયા તાલુકાનાં ભેંસાણ ગ્રામ પંચાયતે જિલ્લા વહીવટી તંત્રને પત્ર પાઠવી રજૂઆત કરી છે કે, અમારા ગામમાં આવેલ ગાગડીયો નદીમાં બાંધવામાં આવેલ બંધારાનાં કારણે કેડીયા જવાના માર્ગ પર પાણી ભરાવાના કારણે બંધ થયેલ છે. આથી ખેડૂતો પોતાના ખેતરે જઈ શકતા નથી. તેમજ ખેતરે વાહનો લઈ જવામાં પણ ખૂબ જ મુશ્કેલી પડે છે. રસ્તામાં કેડ ઉપર સુધીનું પાણી હોવાથી ચાલવામાં પણ ભારે મુશ્કેલી પડે છે. ખેડૂતોને ખેતરે જવા આ માર્ગ સિવાય બીજા કોઈ માર્ગ નથી આ બાબતે અવારનવાર રજૂઆત કરવા છતાં વહીવટી તંત્ર દ્વારા કોઈ નિરાકરણ આવતું નથી. જેથી ભેંસાણ ગ્રામ પંચાયતનાં સદસ્યો, તાલુકા પંચાયતનાં સદસ્યો અને ગ્રામજનો આજે તા. રનાં રોજ યોજાનારી ગ્રામસભાનો બહિષ્કાર કરીએ છીએ. તેમ સરપંચ અશ્મીતાબેન વિક્રમભાઈની યાદીમાં જણાવાયું છે. તેમજ જો અમારા પ્રશ્નનું નિરાકરણ નહી આવે તો આગામી તા.૪ ઓકટો.ના રોજ સમસ્ત ગ્રામજનો જળસમાધિ લેશે.