ટીમ ઈન્ડીયાના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલીએ તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને સમગ્ર ક્રિકેટ જગતને નિરાશ કર્યું છે. વિરાટે પોતાના ૧૪ વર્ષના ટેસ્ટ કરિયરમાં ઘણી મોટી સિદ્ધિઓ હાંસલ કરી, પરંતુ અચાનક નિવૃત્તિ લેવાના તેના નિર્ણયથી બધા ચોંકી ગયા. આ દરમિયાન, ટીમ ઈન્ડીયાના ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ વિરાટ કોહલીના ટેસ્ટ નિવૃત્તિ અંગે ચોંકાવનારું નિવેદન આપ્યું છે.
રવિ શાસ્ત્રીએ જણાવ્યું કે વિરાટ કોહલીએ નિવૃત્તિની જાહેરાત કરતા પહેલા તેમની સાથે વાત કરી હતી. રવિ શાસ્ત્રીએ તાજેતરમાં આઇસીસી સમીક્ષામાં ખુલાસો કર્યો હતો કે કોહલીએ નિવૃત્તિની જાહેરાત કરતા પહેલા તેમને શું કહ્યું હતું. કોહલીએ શાસ્ત્રીને કહ્યું હતું કે તેણે ટીમને બધું જ આપી દીધું છે અને હવે તેને કોઈ અફસોસ નથી. નિવૃત્તિના એક અઠવાડિયા પહેલા વિરાટ કોહલીએ રવિ શાસ્ત્રી સાથે વાત કરી હતી.
રવિ શાસ્ત્રીએ કહ્યું કે કોહલીનું મન સંપૂર્ણપણે સ્પષ્ટ હતું. કોહલીએ સ્પષ્ટપણે કહ્યું કે નિવૃત્તિના નિર્ણય અંગે તેના મનમાં કોઈ શંકા નથી. કોહલીનું મન તેને કહી રહ્યું હતું કે હવે બહુ થયું. રવિ શાસ્ત્રીએ પણ સ્વીકાર્યું કે વિરાટ સાથે વાત કરવા છતાં, તે નિવૃત્તિના નિર્ણયથી આશ્ચર્યચકિત હતો. તેને લાગ્યું કે કોહલી બે-ત્રણ વર્ષ વધુ ટેસ્ટ ક્રિકેટ રમી શકે છે, પરંતુ જ્યારે કોઈ ખેલાડી માનસિક રીતે થાકી જાય છે, ત્યારે તેનું શરીર પણ હાર માની લે છે. ખેલાડી શારીરિક રીતે ગમે તેટલો ફિટ હોય, જા તમે માનસિક રીતે થાકેલા હોવ તો તમે રમી શકતા નથી.
તેમણે કહ્યું કે કોહલીની લોકપ્રિયતા પણ તેમના થાકનું કારણ બની હતી. કોહલીને આખી દુનિયામાં માન મળ્યું છે. છેલ્લા દાયકામાં કોઈ પણ ખેલાડીના આટલા ચાહકો નથી. ઓસ્ટ્રેલિયા હોય કે દક્ષિણ આફ્રિકા, લોકો તેમને મળવા આવતા. લોકોનો તેમની સાથે પ્રેમ અને નફરતનો સંબંધ હતો. લોકો તેના પર ગુસ્સે પણ થતા હતા. તેઓ જે રીતે ઉજવણી કરતા હતા તે દર્શાવે છે કે તેમનામાં રમવા માટે કેટલો જુસ્સો અને ઉત્સાહ હતો.