કોડીનાર-ઉના નેશનલ હાઈવે પર ચાલી રહેલા ડિમોલિશન મુદ્દે દેવળી ગામના ખેડૂતો અને નેશનલ હાઈવે ઓથોરિટી વચ્ચે આજે કોડીનાર મામલતદાર કચેરી ખાતે યોજાયેલી બેઠક તણાવપૂર્ણ રહી હતી. ખેડૂતોએ વર્ષ ૨૦૨૧માં થયેલી સમજૂતી મુજબ હજુ સુધી યોગ્ય વળતર ન મળ્યાનો આક્ષેપ કર્યો. અમુકને વળતર મળ્યું ન હોવાને કારણે ભારે રોષ ફાટી નીકળ્યો હતો. વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે પાકને થયેલા નુકસાન અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી. ઉના પ્રાંત અધિકારી કે.આર. પરમાર સહિત અધિકારીઓએ સમજૂતી આપી કે કામગીરી કોર્ટના આદેશ મુજબ જ કરવામાં આવે છે. પરંતુ બેઠક દરમિયાન અધિકારીઓ તરફથી કોઈ સ્પષ્ટ અથવા સંતોષકારક જવાબ ન મળતા ખેડૂતોમાં નારાજગી વધી છે. ખેડૂતોએ તાત્કાલિક ડિમોલિશન કામગીરી રોકવાની માંગ કરી હતી. તેમનું કહેવું છે કે, જો યોગ્ય વળતર અને વ્યવસ્થાઓ વગર બળજબરી કરાશે તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. વિવાદિત સ્થિતિને ધ્યાનમાં રાખીને, તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવો જરૂરી છે, નહીંતર આ વિવાદ વધુ ઊંડો થવાની શક્યતા છે.