કોડીનાર પંથકમાં સતત અને ભારે વરસાદના કારણે ચોમાસુ પાક નિષ્ફળ ગયો છે. આ બાબતે કોડીનારના ધારાસભ્ય ડા. પ્રદ્યુમનભાઈ વાજાએ કૃષિ મંત્રીને રૂબરૂ મળીને લેખિતમાં રજૂઆત કરી છે. ખેડૂતો ખેતીની સાથે પશુપાલનનો વ્યવસાય પણ કરે છે. પણ આ વરસાદમાં મૂંગા માલઢોરનો ચારો પણ બરબાદ થયો છે. ડોળાસા અને કોડીનાર વિસ્તારમાં મગફળી, સોયાબીન અને કપાસનું વ્યાપક વાવેતર થયું હતું. ઓગસ્ટ મહિના સુધી ૩૭ ઇંચ વરસાદ થયો હતો અને મબલખ પાક ઉતરશે તેવી ખેડૂતોને આશા હતી. પણ ત્યારબાદ ૧૬ ઇંચ વરસાદ થતાં ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યુ હતું. આ બાબતે ખેડૂતો વતી પાકની નુકસાનીનો સર્વે કરી ખેડૂતો માટે જરૂરી આર્થિક પેકેજ આપવા અંગે ધારાસભ્ય ડો. પ્રદ્યુમનભાઈ વાજાએ કૃષિમંત્રી રાઘવજી પટેલને ગાંધીનગરમાં રજૂઆત કરી હતી. મંત્રીએ ખેતરોનો તાત્કાલિક સર્વે કરવા માટે અધિકારીને ટેલીફોનિક સૂચના આપી હતી.