કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત લથડી છે. તેમને ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે સોનિયા ગાંધીની તબિયત ભૂતકાળમાં બગડી હતી અને તેમને શિમલાની ઈન્દીરા ગાંધી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે, બાદમાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
સર ગંગા રામ હોસ્પીટલે એક નિવેદન જારી કર્યું છે અને સોનિયાના સ્વાસ્થ્ય વિશે માહિતી આપી છે. હોસ્પીટલે કહ્યું, ‘કોંગ્રેસ સંસદીય દળના પ્રમુખ સોનિયા ગાંધીને દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પેટ સંબંધિત સમસ્યાઓને કારણે તેમને ગેસ્ટ્રો વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેઓ નિરીક્ષણ હેઠળ છે.’
૭ જૂને પણ સોનિયાની તબિયત બગડી હતી, ત્યારબાદ તેમને શિમલાની ઇન્દીરા ગાંધી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જાકે, બાદમાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે આ એક રૂટિન હેલ્થ ચેકઅપ છે. તે સમયે હિમાચલ પ્રદેશના આરોગ્ય મંત્રી ધની રામ શાંડિલે કહ્યું હતું કે, ‘હાઈ બ્લડ પ્રેશરની ફરિયાદ બાદ સોનિયા ગાંધીને શિમલા હોસ્પિટલમાં ચેકઅપ કરાવવું પડ્યું હતું. જોકે, સોનિયા ગાંધીનું સ્વાસ્થ્ય ખૂબ સારું છે. તે ફક્ત એક રૂટિન ચેકઅપ હતું અને ચિંતા કરવાની કોઈ વાત નથી.’
તમને જણાવી દઈએ કે સોનિયા ગાંધી ૭૮ વર્ષના છે અને કોંગ્રેસ સંસદીય પક્ષના અધ્યક્ષ છે. તેઓ લાંબા સમયથી કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા છે. તેઓ રાહુલ અને પ્રિયંકા ગાંધીની માતા છે અને કોંગ્રેસને મજબૂત બનાવવા માટે કામ કર્યું છે. એવું કહેવાય છે કે ૨૦૦૪ માં, જ્યારે યુપીએએ સરકાર બનાવી, ત્યારે સોનિયાને વડા પ્રધાન બનવાની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેમણે આ પદ ઠુકરાવી દીધું અને મનમોહન સિંહને વડા પ્રધાન બનાવ્યા. તેઓ સક્રિય રાજકારણમાં ઓછા જાવા મળે છે, પરંતુ પાર્ટી માટે વ્યૂહાત્મક અને સલાહકાર ભૂમિકામાં રહે છે.