દિલ્હી હાઈકોર્ટે આતંકવાદી ભંડોળ કેસમાં કાશ્મીરી અલગતાવાદી નેતા શબીર અહમદ શાહની જામીન અરજી ફગાવી દીધી. શબીર શાહ ૨૦૧૭ થી એનઆઇએ (રાષ્ટ્રીય તપાસ એજન્સી) ની કસ્ટડીમાં છે. તેમણે તેમના જામીન માટે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.
અગાઉ, દિલ્હી હાઈકોર્ટે શબીર અહમદ શાહની જામીન અરજી પર સુનાવણી કર્યા પછી નિર્ણય અનામત રાખ્યો હતો. શબીર શાહે ખાસ એનઆઇએ કોર્ટના જામીન નામંજૂર કરવાના આદેશ સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જસ્ટીસ નવીન ચાવલા અને જસ્ટીસ શાલિન્દર કૌરની બેન્ચે શબીર અહમદ શાહની જામીન અરજી ફગાવી દીધી છે.
શબ્બીર શાહના વકીલ કોલિન ગોન્સાલ્વીસે કોર્ટને જણાવ્યું હતું કે શબ્બીર શાહ છેલ્લા છ વર્ષથી કસ્ટડીમાં છે, પરંતુ તેમની સામે કોઈ ગુનો સાબિત થયો નથી. શબ્બીર શાહ સામે એનઆઇએ ચાર્જશીટમાં કોઈ નક્કર પુરાવા નથી. શબ્બીર શાહ સામે ૨૪ કેસ હતા, જેમાંથી ૧૮ કેસોમાં તેમના પર આરોપ મૂકવામાં આવ્યા છે, ત્રણ કેસ રદ કરવામાં આવ્યા છે, અને ત્રણ કેસની તપાસ બાકી છે.