કાશીમાં બાબા વિશ્વનાથના ભક્તો સાથે છેતરપિંડીનો મોટો કિસ્સો સામે આવ્યો છે. કાશી વિશ્વનાથ મંદિર બહાર ખુદને પૂજારી ગણાવીને શ્રદ્ધાળુઓ પાસેથી રૂપિયા પડાવતા ૨૧ નકલી પૂજારીઓની પોલીસે ધરપકડ કરી છે. આ લોકો મંદિરમાં ગેરકાયદેસર રીતે દર્શન કરાવવા અને પ્રસાદ લોકરના નામ પર છેતરપિંડી કરતા હતા.
આ મામલાનો ખુલાસો ત્યારે થયો જ્યારે કેટલાય શ્રદ્ધાળુઓ આ કથિત પૂજારીઓની આવી હરકત વિશે પોલીસમાં ફરિયાદ કરી. દશાશ્વમેઘ એસીપી અતુલ અંજાનના નેતૃત્વમાં બનાવેલી ટીમે ખાસ પ્લાન બનાવી વારાણસીના દશાશ્વમેઘ અને ચૌક પોલીસ સ્ટેશન વિસ્તારના સંયુક્ત અભિયાનમાં ૨૧ નકલી પૂજારીઓને રંગે હાથ પકડી લીધા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ નકલી પૂજારી ખુદને મંદિરથી અધિકૃત બતાવીને સુલભ દર્શનનો દાવો કરતા હતા અને વ્યક્તિદીઠ ૫૦૦થી ૧૦૦૦ રૂપિયા વસૂલતા હતા. પૈસા લીધા બાદ તેઓ શ્રદ્ધાળુઓને મંદિર પરિસર તરફ લઈ જવાનો દેખાડો કરતા અને પછી કોઈ ગલીમાં છોડીને ગાયબ થઈ જતા હતા.
ધરપકડ થયેલા તમામ નકલી પૂજારીઓ બહારથી આવેલા હતા અને ખુદને કાશીના પુરોહિત ગણાવીને ભોળા શ્રદ્ધાળુઓને ટાર્ગેટ બનાવતા હતા. પોલીસ હવે તેમની સાથે પૂછપરછ કરી એ જાણવાની કોશિશ કરી રહી છે કે આ ટોળકીમાં બીજું કોણ કોણ સામેલ છે. પોલીસે શ્રદ્ધાળુઓને અપીલ કરી છે કે, તેઓ ખાલી સત્તાવાર વ્યવસ્થા દ્વારા જ દર્શન કરે, કોઈની વાતમાં આવીને પૈસા ખર્ચવા નહીં.