ઓસ્ટ્રેલિયામાં ગુજરાતી યુવકની રહસ્યમય હત્યાને પગલે ચકચાર મચી છે. ૨૯ વર્ષીય આ યુવકનો મૃતદેહ તેના ગૂમ થયાના છ દિવસ બાદ મળ્યો હતો. હાલમાં તેના પરિવારે મૃતદેહ વતન લાવવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે. આ બનાવની વિદત મુજબ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રહેતા હળવદના મેરુપર ગામના ૨૯ વર્ષીય યુવક જયદીપસિંહ ડોડિયાનો મૃતદેહ શંકાસ્પદ સ્થિતિમાં મળ્યો છે. તે છેલ્લાં સાત વર્ષથી સ્ટુડન્ટ વિઝા પર ઓસ્ટ્રેલિયામાં રહેતો હતો અને ત્યાં નોકરી કરતો હતો. ૧ જૂનની રાત્રે તે નોકરી પર ગયા બાદ પરત ન ફરતાં તેની પત્નીએ ૨ જૂનના રોજ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ૬ જૂનના રોજ તેમના રહેઠાણની નજીકની નદીના કિનારેથી તેનો મૃતદેહ મળ્યો હતો.
૧૦ જૂને મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. એ બાદ મોતનું સાચું કારણ બહાર આવી શકશે. મૃતકનાં પરિવારજનોએ મૃતદેહને વતન લાવવા માટે ભારતીય દૂતાવાસ તેમજ રાજ્ય-કેન્દ્ર સરકારનો સંપર્ક કર્યો છે. આ ઘટનાથી મેરુપર ગામમાં શોકનું વાતાવરણ છવાયું છે.મળતી માહિતી મુજબ, જયદીપ અજિતસિંહ ડોડિયા ૭ વર્ષ પહેલાં સ્ટુડન્ટ વિઝા પર ઓસ્ટ્રેલિયા ગયો હતો. ત્યાર બાદ ભણીને ત્યાં નોકરી મેળવી હતી. આ યુવાનના એક વર્ષ પહેલાં લગ્ન થયા હતા. લગ્નના ત્રણ મહિના બાદ પત્નીના વિઝા પણ મળી ગયા, તેઓ બંને ઓસ્ટ્રેલિયા રહેતાં હતાં.
ગત તા. ૧ જૂનના રોજ રાત્રિના સમયે નોકરી પર નીકળ્યો હતો. ત્યાર બાદ ઘરે નહીં આવતાં શોધખોળ શરૂ કરી હતી. શોધખોળના સમાચાર સ્થાનિક મીડિયામાં પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા.૬ દિવસ બાદ ઓસ્ટ્રોલિયામાં ઘરની બાજુમાં નદીકાંઠે શંકાસ્પદ હાલતમાં જયદીપસિંહ ડોડિયાનો મૃતદેહ મળ્યો હતો. ત્યાર બાદ મૃતદેહને ઓળખ માટે
તેની પત્નીને બોલાવવામાં આવ્યા ત્યારે ખરાઈ કરતાં મૃતદેહ જયદીપ ડોડિયાનો હોવાનું માલૂમ પડ્યું હતું. આ બાબતે ઓસ્ટ્રેલિયા રહેતા મૃતકના સાળાએ મૃતકનાં પરિવારજનોને જાણ કરી હતી.
અજિતસિંહ ડોડિયાને સંતાનોમાં ૨ દીકરા અને ૨ દીકરી છે, જેમાં સૌથી મોટા દીકરા જયદીપનું મોત થતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. મૃતકનું પીએમ મંગળવારે ઓસ્ટ્રેલિયામાં થશે. એ બાદ મોતનું સાચું કારણ બહાર આવી શકે. હાલ તો મૃતદેહને ઝડપી વતનમાં લાવવામાં આવે એ માટે સરકાર અને રાજકીય આગેવાનો પ્રયાસ કરી રહ્યાં છે.