મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરે ગુરુવારે સવારે મુંબઈની એક હોટલમાં મળ્યા. શિવસેના (યુબીટી) ના વડા ઉદ્ધવ ઠાકરે અને તેમના પિતરાઈ ભાઈ રાજ ઠાકરે વચ્ચે સમાધાનની અટકળો વચ્ચે આ બેઠક થઈ છે. ભાજપના વરિષ્ઠ નેતાઓ ફડણવીસ અને રાજ ઠાકરે સવારે બાંદ્રા વિસ્તારની એક ફાઇવ સ્ટાર હોટલમાં મળ્યા હતા. સૂત્રોએ આ વાતની પુષ્ટિ કરી છે પરંતુ વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો.
આ સંદર્ભે સંપર્ક કરવામાં આવતા, ભાજપના મુખ્ય પ્રવક્તા કેશવ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે બંને નેતાઓ સારા મિત્રો છે અને રાજ્યને લગતા વિકાસ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે મળ્યા હશે. મહારાષ્ટ્ર સરકારે આ અઠવાડિયે મુંબઈ સહિત ૨૯ મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે વોર્ડ સીમાંકનનો આદેશ જારી કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની પ્રક્રિયા શરૂ કરી હતી. આ ચૂંટણીઓ પહેલાં ઠાકરે ભાઈઓ વચ્ચે સંભવિત સમાધાનની અટકળો ચાલી રહી છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં બંને નેતાઓની મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ બેઠક પણ મહત્વપૂર્ણ છે કારણ કે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે પણ સાથે આવવાની વાત કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, હવે સવાલો ઉભા થઈ રહ્યા છે કે શું મહારાષ્ટ્રમાં ગઠબંધનની નવી સ્ક્રપ્ટ લખાઈ રહી છે? તે જ સમયે, તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં સરકાર બન્યા પછી સીએમ ફડણવીસ અને રાજ ઠાકરે ઘણી વખત મળ્યા છે. જ્યારે એકનાથ શિંદેની નારાજગીના અહેવાલો આવ્યા હતા, ત્યારે બંને વચ્ચે એક મુલાકાત થઈ હતી. તે સમય દરમિયાન પણ, બંને નેતાઓ વચ્ચે શું ચર્ચા થઈ તે જાહેર થયું ન હતું.
ભૂતપૂર્વ રાજ્ય મંત્રી આદિત્ય ઠાકરે શિવસેના યુબીટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પુત્ર છે અને રાજ ઠાકરે તેમના કાકા છે. રાજ ઠાકરે એક સમયે અવિભાજિત શિવસેનાનો મોટો ચહેરો હતા. જાકે, મતભેદોને કારણે, તેઓ ૨૦૦૫ માં શિવસેનાથી અલગ થઈ ગયા. આ પછી, રાજ ઠાકરેએ ૨૦૦૬ માં પોતાની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની સ્થાપના કરી.
ઠાકરે ભાઈઓ, જેઓ ઘણા વર્ષો પહેલા રાજકીય રીતે અલગ થઈ ગયા હતા, તેમના તાજેતરના નિવેદનોથી આવી અટકળોને વેગ મળ્યો જે દર્શાવે છે કે તેઓ ‘નાના મુદ્દાઓ’ ને અવગણી શકે છે અને લગભગ બે દાયકા સુધી અલગ રહ્યા પછી હાથ મિલાવી શકે છે. રાજ ઠાકરેએ કહ્યું હતું કે ‘મરાઠી માનુષ’ (મરાઠીભાષી લોકો) ના હિતમાં એક થવું મુશ્કેલ નથી, પરંતુ ઉદ્ધવે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ નાના ઝઘડાઓને બાજુ પર રાખવા તૈયાર છે, જા મહારાષ્ટ્રના હિત વિરુદ્ધ કામ કરનારાઓનો સમાવેશ ન થાય.રાજ ઠાકરેએ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપને ટેકો આપ્યો હતો, પરંતુ તેમની પાર્ટીએ ગયા વર્ષે નવેમ્બરમાં રાજ્ય વિધાનસભા ચૂંટણી પોતાના દમ પર લડી હતી.