ઇફકોના ચેરમેન દિલીપ સંધાણીએ જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ ભારતીય સહકારી આંદોલનના ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થયું છે. વર્ષ ૧૯૬૭ માં માત્ર ૫૭ સહકારી મંડળીઓથી શરૂ થયેલી ઇફકોની આ સફર આજે ૩૬,૦૦૦ થી વધુ મંડળીઓ અને લાખો ખેડૂતોના અતૂટ વિશ્વાસ સુધી વિસ્તરી ચૂકી છે. વૈશ્વિક સ્તરે બીજા ક્રમની સૌથી મોટી સહકારી સંસ્થા તરીકે પોતાને સ્થાપિત કરવી એ માત્ર એક સિદ્ધિ નથી, પરંતુ ભારતીય સહકારી શક્તિનો એક જીવંત પુરાવો છે. આ સુવર્ણ વર્ષમાં ઇફકોએ રૂપિયા ૪,૧૦૬ કરોડથી વધુનો સર્વકાલીન રેકોર્ડ નફો હાંસલ કર્યો છે. આ ઐતિહાસિક સિદ્ધિ ફક્ત આંકડાઓની જ વાર્તા નથી, પરંતુ દેશના ખેડૂતોની સખત મહેનત, સંસ્થાના કર્મચારીઓના સમર્પણ અને સહકારના સાચા મૂલ્યોની વિજયગાથા છે. ઇફકોએ ઉત્પાદન અને વેચાણના ક્ષેત્રમાં પણ અનેક નવા રેકોર્ડ પ્રસ્થાપિત કર્યા છે. દેશભરમાં ૧૧૮.૭૫ લાખ મેટ્રિક ટન ખાતરનું રેકોર્ડ બ્રેક વેચાણ અને ૧૧૯.૬૮ લાખ મેટ્રિક ટનનો પુરવઠો એ સાબિત કરે છે કે ખેડૂતોની જરૂરિયાતો જ આ સંસ્થાની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. યુરિયા અને ડીએપીના સતત વધતા વેચાણથી કૃષિ ક્ષેત્રમાં ઇફકોની મુખ્ય ભૂમિકા વધુ મજબૂત બની છે. આ સાથે જ ખેડૂતોમાં નેનો ખાતરોની લોકપ્રિયતા પણ ખૂબ ઝડપથી વધી રહી છે, જેને કારણે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ૩૦૧ લાખથી વધુ બોટલનું વેચાણ નોંધાયું છે. નેનો યુરિયા પ્લસ, નેનો ડીએપી, નેનો ઝિંક, નેનો કોપર અને ધરમૃત જેવા ઉત્પાદનો ખેડૂતો માટે વધુ અસરકારક, પર્યાવરણને અનુકૂળ અને ખર્ચ-અસરકારક વિકલ્પો તરીકે ઉભરી આવ્યા છે. નેનો એનપીકે લિક્વિડ અને નેનો એનપીકે ગ્રેન્યુલરને ખાતર નિયંત્રણ આદેશ હેઠળ સૂચિત કરવામાં આવ્યા છે, જે વિશ્વમાં આ પ્રકારનો પ્રથમ કિસ્સો છે. આ તમામ ઉત્પાદનોનો ઉપયોગ પાંદડા પર છંટકાવ તરીકે અને માટીમાં સીધા ઉપયોગ તરીકે થઈ શકે છે, જે પોષક તત્વોની કાર્યક્ષમતામાં વધારો કરે છે અને પર્યાવરણ પર હકારાત્મક અસર છોડે છે.નેનો ટેકનોલોજીનો વિસ્તાર કરવા માટે ઇફકોએ બેંગલુરુના દેવનહલ્લીમાં પોતાના ચોથા નેનો ખાતર પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું છે, જેનાથી ઇફકોની કુલ ઉત્પાદન ક્ષમતા હવે દરરોજ આશરે ૯.૫ લાખ બોટલ જેટલી થઈ ગઈ છે. કોઈમ્બતુરમાં આવેલું નેનો ઇનોવેશન સેન્ટર સંશોધન અને ટેકનોલોજીના વિકાસ માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બની રહ્યું છે. આજે ઇફકોની ઉપસ્થિતિ ફક્ત ભારત પૂરતી મર્યાદિત નથી રહી પરંતુ તે ૪૦ થી વધુ દેશોમાં પોતાની વિશિષ્ટ સેવાઓ અને ઉત્પાદનો પ્રદાન કરી રહ્યું છે. બ્રાઝિલમાં નેનો ખાતર ઉત્પાદન માટે સંયુક્ત સાહસ સ્થાપિત કરવા માટે પણ સક્રિય કામ ચાલી રહ્યું છે, જે ભારતીય નેનો ટેકનોલોજીને વૈશ્વિક મંચ પર એક નવી ઓળખ અપાવશે. ચેરમેન દિલીપ સંધાણીએ સ્પષ્ટ કર્યું કે ખેડૂતોની સમૃદ્ધિ જ રાષ્ટ્રીય સમૃદ્ધિનો અસલ પાયો છે. આ પ્રસંગે તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ અને અન્ય મંત્રીઓનો તેમના અમૂલ્ય માર્ગદર્શન બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.










































