રાજકોટ શહેર કોંગ્રેસના ભૂતપૂર્વ કોર્પોરેટ પ્રવીણ સોરાણીને શહેર કોંગ્રેસ પ્રમુખ ઇન્દ્રનીલ રાજગુરુ સામે જાહેરમાં બળાપો કાઢવો મોંઘો પડી ગયો છે. તેમની ફેસબૂક પોસ્ટની નોંધ કોંગ્રેસ હાઈકમાન્ડે ગંભીરતાથી લીધી છે. કોંગ્રેસ હાઈકમાન્ડે લાંબા સમયે આકરું વલણ અપનાવતા ફેસબૂક પોસ્ટમાં શહેર કોંગ્રેસ સમક્ષ જાહેરમાં બળાપો કાઢવા બદલ કારણદર્શક નોટિસ પાઠવી છે. તેઓએ હવે આગામી દિવસોમાં આ નોટિસનો જવાબ આપવાનો રહેશે.
રાજકોટ કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના પતિ અને ભૂતપૂર્વ કોર્પોરેટર પ્રવીણ સોરાણીએ શહેર કોંગ્રેસ પ્રમુખ ઇન્દ્રનીલ રાજગુરુ અને રાજદીપસિંહ જાડેજા સામે જાહેરમાં નારાજગી વ્યક્ત કરી હતી. તેમને ભાજપના એજન્ટ સુદ્ધા કહી દીધા હતા. તેના કારણે રાજકોટના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો અને કોંગ્રેસનો જૂથવાદ અને આંતરિક ખેંચાણ સ્થાનિક સ્વરાજની ચૂટણી ટાણે જ પ્રકાશમાં આવી હતી.
પ્રદેશ કોંગ્રેસ સમિતિએ પ્રવીણ સોરાણીને પક્ષને નુકસાન થાય તે પ્રકારનું નિવેદન કરવા બદલ નોટિસ ફટકારીને સાત દિવસમાં જવાબ આપવા જણાવ્યું છે. જા પ્રવીણ સોરાણી સાત દિવસમાં જવાબ નહીં આપે તો પક્ષ કાર્યવાહી કરશે એમ તેમા જણાવાયું છે.
પ્રવીણ સોરાણીનું કહેવું છે કે મારો મુખ્ય વિરોધ કોંગ્રેસ કચેરીને લઈને છે. તેમનું કહેવું છે કે રાજકોટ શહેર કોંગ્રેસની કચેરી ઇન્દ્રનીલ રાજગુરુની ઓફિસ ખાતે કેમ ચાલે છે. પક્ષની કચેરી કોઈની ઓફિસમાં ચાલવાના બદલે સ્વતંત્ર રીતે ચાલવી જાઈએ. પક્ષની કચેરી સ્વતંત્ર હોય તો કાર્યકરો પણ સ્વતંત્રતાપૂર્વક આવી શકે. હવે ઇન્દ્રનીલ રાજગુરુની ઓફિસમાં પક્ષના કાર્યકરો શું કામ આવે.
પ્રવીણ સોરાણી અહીં સ્પષ્ટપણે ઇન્દ્રનીલ રાજગુરુના વર્ચસ્વ સામે પડકાર ફેંક્્યો હતો. તેમણે તો ત્યાં સુધી જણાવ્યું હતું કે રાજકોટ શહેર કોંગ્રેસ ઇન્દ્રનીલની પેઢીની જેમ ચાલે છે. પક્ષના નિર્ણયોમાં અમુક નેતાઓની મનમાની ચાલી રહી છે. તેના પરિણામે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકોટ શહેર કોંગ્રેસને શૂન્ય બેઠક મળશે ત્યાં સુધી જણાવ્યું હતું. તેમનો દાવો છે કે રાજકોટ શહેર કોંગ્રેસના નિર્ણયોમાં અમુક નેતાઓના મનસ્વીપણાના કારણે કાર્યકરોમાં મોટાપાયા પર અસંતોષ છે અને તેમની વાત સાંભળવામાં આવે.
રાજકોટ શહેર કોંગ્રેસમાં થયેલા આ ભડકાના કારણે પ્રદેશ હાઈકમાન્ડ પણ અસંતોષની આગ ઠારવા અને શિસ્તભંગના પગલાં લેવા સજ્જ થઈ ગયું છે. તેના પગલે પ્રવીણ સોરાણીને નોટિસ આપવામાં આવી છે. કોંગ્રેસની પ્રદેશ સમિતિ માને છે કે આ પ્રકારે જાહેરમાં નિવેદનો આપવાથી પક્ષને જ નુકસાન થાય છે. જ્યારે કોંગ્રેસના કાર્યકરોના એક મોટા જૂથનું પ્રવીણ સોરાણીને સમર્થન છે. તેમને લાગે છે કે તેઓ અમારો અવાજ બન્યા છે. છેવટે અસંતોષનો આ જ્વાળામુખી કોઈને કોઈ સ્વરૂપમાં ફાટવાનો જ હતો.










































