રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના કૃષિ પાકને થયેલા વ્યાપક નુકસાનની સ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તાત્કાલિક સર્વે અને પંચરોજકામ કરવાની સૂચના આપવામાં આવી હતી. આ સ્થિતિમાં અમરેલી જિલ્લામાં અસરગ્રસ્ત ૬૨૬ ગામોમાં કપાસ, મગફળી, સોયાબીન, ડુંગળી, શાકભાજી, કઠોળ વગેરેની ખેતીને નુકસાની થઈ છે. આ અસરગ્રસ્ત ગામોમાં સર્વે અને પંચરોજકામની કામગીરી કરી અને અહેવાલ તૈયાર કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. સર્વેની કામગીરી અસરકારક અને ઝડપી પૂર્ણ કરવા બદલ જિલ્લાના ખેડૂતો અને સરપંચોએ રાજ્ય સરકાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી અને વહેલી તકે સહાયતા પ્રાપ્ત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ અંગે અમરેલી તાલુકાના નાના ભંડારિયાના ગ્રામસેવક કંચનબેન સાંગાણીએ જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવેલી સૂચના અન્વયે વરસાદ વિરામ લેતા જ આંકડિયા ગ્રુપના અમારા ગામ નાના ભંડારિયાના તમામ ખેડૂત ખાતેદારોની વિગતો મેળવી ખેતરે ખેતરે જઈ સર્વે અને રોજકામ કર્યું છે. અંદાજિત નુકસાનીનો અહેવાલ અમારા ગામોમાં પૂર્ણ થયો છે. મદદનીશ ખેતીનિયામક વિકાસ ડામોરના જણાવ્યા મુજબ સર્વે અને રોજકામની કામગીરી માટે અમરેલી જિલ્લામાં ૮૬ ટીમ દ્વારા ૬૨૬ ગામોમાં સર્વે અને પંચરોજકામની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ કામગીરીમાં ૮૬ ટીમો અને ૨૭ અધિકારીઓ, ૨૩૪ કર્મચારીઓની ટીમ નુકસાનીનો રિપોર્ટ તૈયાર કરવા માટે કામગીરી કરી રહી છે. નુકસાનીના અંદાજના રિપોર્ટનું સંક્લન કરી સરકારને આપવામાં આવશે. ખેતીવાડી શાખા દ્વારા આ કમોસમી વરસાદ અંગે ખાસ પગલા લેવા ખેડૂતોને અનુરોધ કરેલો છે, જે માટેની માર્ગદર્શિકા પ્રસિધ્ધ કરવામાં આવી છે. તેમજ જિલ્લા કક્ષાએ અલાયદો કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલો છે. જેમાં હેલ્પલાઈન નંબર ૦૨૭૯૨ ૨૨૩૩૨૪ પર ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ કરીને મદદ કરવામાં આવી રહી છે.