અમરેલી જિલ્લામાં તાજેતરમાં ભારે વરસાદથી ખેડૂતોનો તૈયાર માલ નિષ્ફળ ગયો છે અને ખેડૂતોનાં મોંમાં આવેલો કોળીયો ઝૂંટવાઈ ગયો છે અને અનેક ખેડૂતોની દિવાળી બગડી છે ત્યારે અમરેલી જિલ્લાનાં ધારાસભ્યો કૌશિકભાઈ વેકરીયા, મહેશભાઈ કસવાલા, જનકભાઈ તળાવીયા અને હિરાભાઈ સોલંકીએ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને રૂબરૂ મળી તાત્કાલિક સર્વે કરાવી પાકનું વળતર ચૂકવવા રજૂઆત કરી છે. અમરેલી જિલ્લામાં ભારે વરસાદનાં કારણે કઠોળ, મગફળી, સોયાબીન અને કપાસ જેવા પાકોને ભારે નુકસાન થયું છે જેથી જિલ્લામાં તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવામાં આવે તેવી માંગ પણ કરી છે. આ રજૂઆતનાં પગલે કૃષિમંત્રીએ વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી ઝડપી નિવારણ લાવવા ખાતરી આપી હતી.