અમરેલીમાં રવિવારે જેસીંગપરા ખાતે ૧૦૦ બેડની અદ્યતન ધર્મજીવન હોસ્પિટલનું લોકાર્પણ રાજયપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા સહિતનાં આગેવાનો અને સંતો-મહંતોની ઉપસ્થિતિમાં થશે. સંસ્થાનાં વડા સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામીનાં આર્શીવાદથી સ્વામી દેવપ્રસાદદાસજીનાં વડપણ હેઠળ હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે. શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસ સ્વામીનાં વતનમાં બની રહેલ હોસ્પિટલનાં ઉદ્દઘાટન સમારોહની સંતો અને હરિભક્તો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી, રાજયપાલ સહિતનાં આગેવાનો અમરેલી પધારી રહ્યા હોય તંત્રએ પણ વિશેષ તૈયારીઓ હાથ ધરી છે. સંતો દ્વારા આગેવાનો અને હરિભક્તોને રૂબરૂ આમંત્રણ પાઠવવામાં આવ્યા છે. ગઈકાલે નવનિર્મિત હોસ્પિટલનાં પટાંગણમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થા દ્વારા રાહતદરે અપાનાર સેવાની માહિતી સ્વામી કૃષ્ણચરણદાસજી, દાતા અને હરિભક્ત રાકેશભાઈ દુધાત અને ડો.ચિરાગ જાષી દ્વારા આપવામાં આવી હતી. અદ્યતન ઓપરેશન થિયેટરથી સજ્જ આ હોસ્પિટલમાં સુપર સ્પેશ્યાલિસ્ટ ડોકટરો દ્વારા દર્દીનારાયણની રાહતદરે સેવાઓ કરાશે.