અમરેલી જિલ્લાને વિકાસના માર્ગે આગળ ધપાવવા માટે સાંસદ ભરતભાઈ સુતરીયા અને ધારાસભ્યોની ટીમે કેન્દ્ર સરકાર સમક્ષ મજબૂત રજૂઆત કરી છે. DAP ખાતરની અછત, નેશનલ હાઈવેનું ફોર-લેનિંગ અને રેલવે કનેક્ટિવિટી સહિતના મહત્વના મુદ્દાઓ પર કેન્દ્રીય મંત્રીઓ સાથે દિલ્હીમાં બેઠકો યોજીને જિલ્લાના સર્વાંગી વિકાસ માટે માર્ગદર્શન મેળવવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લાના ખેડૂતો DAP ખાતરની અછતથી ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ મુદ્દે સાંસદ ભરતભાઈ સુતરીયા, નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્યો મહેશભાઈ કસવાળા, હીરાભાઈ સોલંકી, જે.વી. કાકડીયા, જનકભાઈ તળાવીયા તેમજ જિલ્લા ભાજપા અધ્યક્ષ અતુલભાઈ કાનાણીએ રાસાયણિક ખાતર મંત્રી તેમજ ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા સમક્ષ દ્રઢ રજૂઆત કરી હતી. ખાતરના પ્રશ્નનું તાત્કાલિક નિરાકરણ થાય તે માટે મંત્રી તરફથી હકારાત્મક આશ્વાસન મળ્યું હોવાનું જાણવા મળ્યું છે, જિલ્લાના નેશનલ માર્ગોની સ્થિતિ સુધારવા અંગે કેન્દ્રીય માર્ગ-મહેસૂલ મંત્રી નીતિન ગડકરી સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
ખાસ કરીને બાઢડા-ગાવડકા નેશનલ હાઈવેને ચાર માર્ગીય બનાવવા, અમરેલી-બાબરા, ચાવંડ-લાઠી-અમરેલી તથા અમરેલી શહેર બાયપાસ (લાઠી રોડ સર્કલથી રાધેશ્યામ સર્કલ સુધી) માર્ગોના વિકાસ માટે મજબૂત રજૂઆત કરાઈ હતી. સા.કુંડલા – અમરેલી તથા ધારી-વિસાવદર રેલવે લાઈનોને લઈને કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત, કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને મનસુખભાઈ માંડવીયા સાથે પણ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.