દેશમાં કોરોનાના કેસ હાલમાં ઓછા થયા છે. જોકે, આ દરમિયાન દક્ષિણ આફ્રિકામાં કોરોના વાયરસનો નવો વેરિઅન્ટ સામે આવતા ફરીથી ડર ફેલાયો છે. આ દરમિયાન ગઈકાલે શુક્રવારે યુકેથી અમદાવાદ આવેલા એક પ્રવાસીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા વધી છે. હાલ આ પ્રવાસીને ક્વારન્ટીન કરી દેવામાં આવ્યો છે. આ સાથે જ તેની આસપાસમાં બેઠેલા મુસાફરોને પણ કેન્દ્ર સરકારની ગાઇડલાઈન પ્રમાણે તમામ નિયમો પાળવાની સૂચના આપી દેવામાં આવી છે. ઓમિક્રોન વેરિઅન્ટને લઈને હાલ અમદાવાદ તંત્ર સજ્જ બન્યું છે. એરપોર્ટ પર આંતરાષ્ટ્રીય ફલાઈટમાં આવતા લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. હાઇરિસ્ક વાળા ૧૧ દેશમાંથી આવતા લોકોના ફરજીયાત ટેસ્ટિંગ થઈ રહ્યા છે.
મળતી માહિતી પ્રમાણે શુક્રવારે યુકેથી ૨૨૨ પ્રવાસી સીધી ફ્લાઇટ મારફતે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા હતા. હાલ તંત્ર તરફથી હાઈરિસ્ક ધરાવતા દેશોમાંથી આવતા પ્રવાસીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આ જ રીતે ૨૨૨ પ્રવાસીઓના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી એક પ્રવાસીનો RT-PCR ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ પ્રવાસી અમદાવાદ બહારનો હોવાનું જોણવા મળ્યું છે. એવી પણ જોણકારી મળી છે કે આ પ્રવાસી યુકેમાં કોરોના પોઝિટિવ થયો હતો. જે બાદમાં ૧ ડિસેમ્બરના રોજ તેનો કોરોના રિપોર્ટ નેગિટિવ આવી ગયો હતો. આથી તેને પ્રવાસની મંજૂરી આપવામાં આવી હતી. અમદાવાદ ખાતે તેનો RT-PCR ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.
હાલ પ્રવાસીનો RT-PCR ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. પ્રવાસીને કોરોનાના કયા વેરિઅન્ટનો ચેપ લાગ્યો છે તેની તપાસ માટે હાલ તેનું સેમ્પલ પુણે ખાતે જિનોમ સિક્વન્સિંગગ માટે મોકલી દેવામાં આવ્યું છે. બીજી તરફ પ્રવાસીને નિયમ પ્રમાણે હોમ ક્વારન્ટીન સહિતની તમામ તકેદારી રાખવાની સૂચના આપી દેવામાં આવી છે. વ્યક્તિને ઓમિક્રોન છે કે નહીં તેની જોણ પુણેથી રિપોર્ટ આવ્યા બાદ જ માલુમ પડશે. હાલ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
હાઈરિસ્ક દેશમાંથી અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવતી ફ્લાઈટના તમામ પ્રવાસીઓના RT-PCR કરવામાં આવે છે. ગત રાત્રે યુકેથી સીધી ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટ આવી હતી. ફ્લાઈટમાં ૨૨૨ પેસેન્જર હતા. તમામના RT-PCR કરવામાં આવ્યા હતા. જેમાંથી ૧ પ્રવાસીઓ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ પ્રવાસીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે.’