ગુજરાતમાં રખડતાં ઢોર અને રખડતાં શ્વાને આતંક મચાવ્યો છે, રખડતાં ઢોરના ત્રાસની રોજ અલગ અલગ ઘટનાઓ સામે આવે છે, હવે પાલતું શ્વાનના આતંકની ઘટના સામે આવી છે, મહાનગર અમદાવાદમાં એક પાલતુ શ્વાને ૪ માસની બાળકી પર હુમલો કર્યો જેમાં બાળકીનું મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ સોસાયટીના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અમદાવાદ પોલીસે કાર્યવાહી કરતા શ્વાન માલિકની ધરપકડ કરી છે.

અમદાવાદના હાથીજણ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટનાએ લોકોને સ્તબ્ધ કરી દીધા છે. માત્ર ચાર મહિનાની એક નાનકડી બાળકી પર પાલતુ શ્વાને એવો હુમલો કર્યો કે બાળકીનું મોત નિપજ્યું. પોલીસે હવે શ્વાન માલિક દિલીપ પટેલ સામેની કલમ ૧૦૬(૧) અને કલમ ૨૯૧ હેઠળ કાર્યવાહી કરી છે. શ્વાન માલિક દિલીપ પટેલની ધરપકડ કરવામાં આવી છે. શ્વાન માલિકે નિયમો નેવે મુકી લોકોના જીવ જાખમમાં મુક્યા હતા.

હાથીજણની રાધે રેસિડેન્સીમાં રોટવીલર બ્રીડના શ્વાને એક નિર્દોષ બાળકી પર હુમલો કર્યો. આ ઘટના કેદ થઈ ગઈ, જેમાં એક મહિલા ફોન પર વાત કરતી હતી અને શ્વાન તેના હાથમાંથી છૂટીને બાળકી પર તૂટી પડ્યો. સારવાર દરમિયાન બાળકીએ જીવ ગુમાવ્યો હતો.

અમદાવાદમાં શ્વાનના હુમલાની આ પહેલી ઘટના નથી. રખડતા શ્વાનોનો આતંક શહેરની ગલીઓમાં રોજ વધી રહ્યો છે. ડબ્લ્યુએચઓના રિપોર્ટ અનુસાર, ભારતમાં દર વર્ષે ૧૮ હજારથી ૨૦ હજાર લોકો હડકવાના કારણે મૃત્યુ પામે છે, જેમાંથી મોટાભાગના કેસ શ્વાનના કરડવાના હોય છે.

અમદાવાદ મહાનગરપાલિકા રખડતા શ્વાનોને પકડવા અને તેમની નસબંધી માટે અભિયાન ચલાવે છે, પરંતુ આ સમસ્યા હજુ પણ કાબૂમાં આવી નથી. શહેરી વિસ્તારોમાં શ્વાનોની વધતી સંખ્યા માથાનો દુઃખાવો બની છે. ત્યારે તંત્ર ક્યારે આવી ઘટનાઓ રોકવામાં સફળ થાય છે?…પાલતું શ્વાન પર ક્યારે કોઈ ચોક્કસ નિયમ બનાવવામાં આવશે?