અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સાયન્સ સિટી રોડ પર પાર્ક કરેલી ટાટા હેરિયર કારમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સોલા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને તપાસ હાથ ધરી હતી.
માહિતી મુજબ, ૨ એપ્રિલની સાંજના સમયે હેતાર્થ પાર્ટી પ્લોટ નજીક વિહત બંગલોઝની બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટમાં ગાડીમાં લાશ હોવાની જાણ પોલીસને મળી હતી. પોલીસ સ્થળ પર પહોંચતા મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. પોલીસે કાર ખોલીને તપાસ કરતાં અંદર આશરે ૪૫ વર્ષીય વ્યક્તિનો મૃતદેહ મળ્યો હતો.
પોલીસ તપાસ દરમિયાન મૃતકની ઓળખ શેલા ગામના રહેવાસી હર્ષદભાઈ પ્રજાપતિ તરીકે થઈ હતી. તેઓ શેરબજાર સાથે સંકળાયેલા વ્યવસાય કરતા હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં મૃતકના શરીર પર કોઈ પણ પ્રકારના ઈજાના નિશાન જાવા મળ્યા નથી. આ કારણે હાર્ટ એટેક જેવી સ્વાભાવિક કારણસર મોત થયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે.
સોલા પોલીસ હાલ અનેક મુદ્દાઓની તપાસ કરી રહી છે, જેમાં મૃતક ગાડીમાં કેવી રીતે પહોંચ્યા,ગાડી કોની માલિકીની છે.મોત પહેલાં તેઓ કોને મળ્યા હતા કે નહીં. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તપાસ આગળ વધી રહી છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા પણ અમદાવાદમાં એક કારમાંથી સડેલી હાલતમાં લાશ મળી આવી હતી. સતત આવી ઘટનાઓ સામે આવતા શહેરમાં સુરક્ષા અને પરિસ્થિતિ અંગે ચિંતા વધી રહી છે.આજ જ દિવસે સરખેજ-ધોળકા રોડ નજીક એક તળાવ પાસે ૮૫ વર્ષીય વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ, માનસિક બીમારીથી પીડાતા વૃદ્ધા રાત્રે ઘરેથી નીકળી ગયા બાદ આ દુઃખદ ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે.










































