હવે પાકિસ્તાનમાં ચીફ જસ્ટિસનો કાર્યકાળ ત્રણ વર્ષનો રહેશે. જ્યારે ન્યાયાધીશોની નિમણૂક ૧૨ સભ્યોના કમિશન દ્વારા કરવામાં આવશે. રવિવારે આખી રાત ચાલેલી ચર્ચા બાદ સોમવારે નેશનલ એસેમ્બલી એટલે કે સંસદમાં ૨૬મો બંધારણીય સુધારો પસાર કરવામાં આવ્યો હતો. આના એક દિવસ પહેલા જ સેનેટમાં બિલ પાસ થયું હતું.
ઉલ્લેખનીય છે કે ૩૩૬ સભ્યોની નેશનલ એસેમ્બલીમાં વોટિંગ દરમિયાન ૨૨૫ સભ્યોએ બિલનું સમર્થન કર્યું હતું. સરકારને સુધારો પસાર કરવા માટે ૨૨૪ મતોની જરૂર હતી. સુધારાને મંજૂર કરવા માટે બે-તૃતીયાંશ બહુમતી જરૂરી છે અને સેનેટે રવિવારે સુધારો મંજૂર કરવા માટે ૬૫ થી ચાર મત આપ્યા હતા. શાસક ગઠબંધનને સંસદના ઉપલા ગૃહમાં ૬૪ સભ્યોના સમર્થનની જરૂર હતી.
સત્તાધારી ગઠબંધન ભાગીદારો વચ્ચે સર્વસંમતિ દ્વારા રવિવારે કેબિનેટની મંજૂરી મળ્યા બાદ કાયદા પ્રધાન આઝમ નઝીર તરાર દ્વારા આ બિલ સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘હું ઇસ્લામિક રિપબ્લીક ઓફ પાકિસ્તાનના બંધારણમાં વધુ સુધારો કરવા માટે ૨૬મું બંધારણ સંશોધન બિલ ૨૦૨૪ રજૂ કરવા માંગુ છું.’ આના પર સેનેટ અધ્યક્ષ યુસુફ રઝા ગિલાનીએ ગૃહને પૂછ્યું હતું કે શું તેનો વિરોધ છે? આ અંગે તેમને સેનેટ સભ્યો તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો.
જમીયત ઉલેમા-એ-ઈસ્લામ-ફઝલના પાંચ સેનેટર અને બલૂચિસ્તાન નેશનલ પાર્ટી-મેંગલના બે સાંસદોએ પણ બિલની તરફેણમાં મતદાન કર્યું હતું. બિલમાં ચીફ જસ્ટિસની નિમણૂક માટે ૧૨ સભ્યોના કમિશનની રચના કરવાનો પ્રસ્તાવ છે, જેની નિમણૂક ત્રણ વર્ષ માટે હશે.
કેબિનેટની બેઠક પહેલાં, વડા પ્રધાન શેહબાઝ શરીફ પ્રસ્તાવિત બંધારણીય સુધારા પર વિગતવાર ચર્ચા માટે રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીને મળ્યા હતા, તેમને માહિતી આપી હતી અને તેમની પાસેથી સલાહ લીધી હતી. સેનેટ સત્રની શરૂઆત પહેલાં, કાયદા પ્રધાન તરરે કહ્યું હતું કે ‘નવા ચહેરા’ કમિશનમાં મુખ્ય ન્યાયાધીશ, સર્વોચ્ચ અદાલતના ચાર સૌથી વરિષ્ઠ ન્યાયાધીશો,
બે સેનેટરો અને નેશનલ એસેમ્બલીના બે સભ્યોનો સમાવેશ થશે. એક સેનેટર અને નેશનલ એસેમ્બલીના બે સભ્યો વિપક્ષી પાર્ટીના હશે.
પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના નેતા અલી ઝફરે આરોપ લગાવ્યો હતો કે તેમની પાર્ટીના સાંસદોને બિલની તરફેણમાં મત આપવા દબાણ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે તેમના પક્ષના સેનેટરો ગેરહાજર હતા કારણ કે તેમને ડર હતો કે તેઓને સરકારની તરફેણમાં મતદાન કરવાની ફરજ પાડવામાં આવશે.