સાંજનું ટાણું થતા નમતા પહોરે સંધ્યા ખીલી હતી. ડભોઇ ગામનાં પાદરે પાણી સેરડે પનિહારીઓના ઉજળા બેડા આથમતા સૂરજનાં કિરણોમાં ચમકી રહ્યાં હતાં. ત્યારે વડોદરાથી આવેલ માણસે પાદરમાં રમતા છોકરાને પુછયું.
‘અલ્યા છોકરા દયારામ કવિનું ઘર બતાવીશ’
પોતાનો દાવ હતો છતાં રમત રોકીને છોકરાએ ઘર બતાવતા કહ્યું ઃ ‘ સીધા ચાલ્યા જાઓ, ઓતરાદા બારની વાદળી રંગે રંગાયેલ ડેલી દેખાય એ કવિરાજનું ઘર ’
હવે વાત એમ બનેલી કે એ સમયમાં વડોદરામાં ગોપાલરાવ મ્હેંરાળની બોલબાલા હતી. આમ તો તે મદ્રાસનો વતની તેણે વડોદરામાં વાસ કર્યો હતો. જરૂરિયાત પડતાં ગાયકવાડની સરકારને નાણા આપી ટેકો કરતા હતાં. રાજ તરફથી પરતમાં મળેલ ગામની ઉપજ ગોપાલરાવના કોઠાર ભરતી હતા. શ્રીમંતાઇ આંબી ગયેલ ગોપાલરાવ, દરિયાદિલ માણસ હતો. ગુણીયલ અમીરાતનું અમીપાન કરી ગયેલ ગોપાલરાવ ગરીબોનો માળવો હતો. દાન પુન્ય કરતો પણ એને અભિમાન ન હતું. એની પાસે મદદ માટે આવનાર કદી એની પેઢિયેથી ખાલી ન જતું. નગર શ્રેષ્ઠી વેભવ વચ્ચે એક રાજા જેવું જીવન જીવતો હતો. એ કદી વિલાસ તરફ નજર કરતો નહીં. લોકો એને ભગવાન રૂપ માનતા. જેમ જેમ એમની પાસે ધનનાં ઢગલા થતા ગયા તેમ તેમ એ પૈસો વાપરવામાં પણ મોટુ મન રાખતો હતો. ધર્મ કાર્ય માટે ગોપાલરાવે ખજાનો ખુલ્લો રાખ્યો હતો. સીનોરના નર્મદા કિનારે ભવ્ય ઘાટ બંધાવ્યો, તેના પર વિઘ્નહર વિનાયકનું મંદિર બનાવરાવ્યું જયાં હર હર મહાદેવના નાદ સાથે સેકંડો બ્રાહ્મણ મોદક આરોગતા. આમ, સદાવ્રતની સરિતા વહેતી કરેલી.
એવા ગોપાલરાવને એક વાત જાણવા મળી કે દયારામ નામના કવિ ભક્તિભાવનાં પદો રચી જાણે છે. એની જેવા પદો કોઇ કવિ કરી જાણતા ન હતાં. મા શારદાના ઉપાસકની કદર કરી જાણકાર ગોપાલરાવને મનમાં એક ઇચ્છા થઇ, આવા કવિ પાસે ઇષ્ટદેવના ગુણગાન ગવરાવુ તો મારી વાહવાહ બોલાય. બસ, પછી આ માટે જ નક્કી કરી મોકલેલ ખેપિયો દયારામની ડેલીએ ઉભો રહ્યો. કવિએ એને જમાડીને પછી પુછયું,
‘કયાંથી આવો છો અને શા માટે આવ્યા છો ?’
‘કવિરાજ હુ ગોપાલરાવનો મોકલ્યો વડોદરાથી આવું છું.’
‘બોલો ગોપાલરાવની શું આજ્ઞા છે ?’ ‘ આપશ્રીને તેડવા મોકલ્યો છે. શેઠનું કહેણ છે કે આપ પદો સારા રચો છે. એટલે એમના ઇષ્ટદેવના પદો બનાવો. કદર રૂપે કાયમી વર્ષાસન બાંધી આપવા બોલ છે.’ ત્યારે કવિ શ્રી દયારામે કહ્યું ઃ ‘ અરે ભાઇ ગોપાલરાવની ભાવના મે સ્વીકારી એમને કહેજા કે હું અજાચક કવિ છું અને ભગવાન કૃષ્ણ સિવાઇ અન્ય માટે પદો રચતો નથી.’