તહવ્વુર રાણા મુંબઈમાં ૨૦૦૮ના નવેમ્બરમાં થયેલા ભીષણ આતંકવાદી હુમલાનો આરોપી છે. મુંબઈમાં ૨૬ નવેમ્બર,૨૦૦૮ના રોજ થયેલા ભીષણ આતંકવાદી હુમલામાં ૧૭૫ લોકો સત્તાવાર રીતે માર્યાં ગયા હતા. લેપર્ડ કાફે, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, તાજ મહલ પેલેસ હોટલ, ઓબેરોય ટ્રિડન્ટ, કામા હોસ્પિટલ, નરીમાન હાઉસ, મેટ્રો સેનિમા, સેંટ ઝેવિયર્સ કોલેજ સહિતના સ્થળે થયેલા આતંકવાદી હુમલાઓએ કાળો કેર વર્તાવી દીધો હતો. અજમલ કસાબ સહિતના ૧૦ આતંકવાદીઓએ ૪ દિવસ સુધી મુંબઈને બાનમાં લઈને લોકોમાં ભયંકર ખોફ ફેલાવી દીધો હતો અને ભારતનું નાક વાઢી લીધું હતું. તહવ્વુર રાણા આ હુમલાનું કાવતરૂં ઘડવામાં કેન્દ્રસ્થાને હતો.
આઈએસઆઈએ તહવ્વુર રાણા અને દાઉદ સૈયદ ગિલાની ઉર્ફે ડેવિડ કોલમેન હેડલીની મદદથી હુમલાના સ્થળો પસંદ કર્યાં હતા. મુંબઈ હુમલાના મહિનાઓ પછી ૨૦૦૯ માં શિકાગો એરપોર્ટ પરથી અમેરિકી તપાસ એજન્સી એફબીઆઈએ હેડલી અને રાણાની ધરપકડ કરી હતી. આ ધરપકડ ડેનમાર્કમાં હુમલાનું ષડયંત્ર રચવા માટે કરવામાં આવી હતી. બંનેની પુછપરછ દરમિયાન મુંબઈ હુમલામાં સંડોવણી બહાર આવી હતી પણ અમેરિકાએ રાણા કે હેડલીને ભારતને સોંપ્યા જ નહીં. ૧૬ વર્ષ સુધી બંનેને અમેરિકાની જેલમાં રખાયા અને જાત જાતના કાનૂની દાવપેચ પછી હવે રાણાને ભારતને સોંપાયો છે જ્યારે હેડલીને તો હજુય ભારતને સોંપાયો જ નથી. તહવ્વુર રાણાની વાત નીકળે ત્યારે સાથે સાથે દાઉદ સૈયદ ગિલાની ઉર્ફે ડેવિડ કોલમેન હેડલીનો પણ ઉલ્લેખ થાય જ છે કેમ કે બંને જોડી બનાવીને કામ કરતા હતા. તહવ્વુર રાણાને પ્રત્યાર્પણ સંધિ હેઠળ અમેરિકાથી ભારત લવાયો છે ત્યારે તહવ્વુર રાણા ભારત માટે મહત્વનો છે કે નહીં એ સવાલ પણ થઈ રહ્યો છે. આ સવાલોના જવાબ મેળવીએ એ પહેલાં તહવ્વુર રાણા અને દાઉદ સૈયદ ગિલાની ઉર્ફે ડેવિડ કોલમેન હેડલી કોણ છે તેની વાત કરી લઈએ.

તહવ્વુર રાણા મૂળ પાકિસ્તાની છે. તહવ્વુર રાણાનો જન્મ ૧૨ જાન્યુઆરી ૧૯૬૧ના રોજ પાકિસ્તાનના ચિચવતનીમાં થયો હતો. સૈનિક સ્કૂલમાંથી ભણેલા રાણાએ પછીથી મેડિકલમાં ગ્રેજ્યુએશન કર્યું અને પાકિસ્તાન સેનાની રાવલપિંડી હોસ્પિટલમાં ડાક્ટર બન્યો હતો. તહવ્વુરના નિકાહ પાકિસ્તાનમાં એક ડોક્ટર સાથે થયા હતા. રાણા કોલેજમાં હતો ત્યારે જ આઈએસઆઈ સાથે જોડાઈ ગયો હતો અને આતંકી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો હતો. પાકિસ્તાની આર્મીમાં ડોક્ટર હતો ત્યારે રાણા કેડેટ કોલેજ ઓફ હસન અબ્દુલમાં જતો. આઈએસઆઈની યોજનાના ભાગરૂપે ૧૯૯૭માં રાણા પાકિસ્તાન છોડી કેનેડા આવી ગયો હતો અને કેનેડિયન નાગરિક બની જીવતો હતો. કેનેડાથી તે અમેરિકા ગયો અને અમેરિકાના શિકાગોમાં એક ઇમિગ્રેશન અને ટ્રાવેલ એજન્સી શરૂ કરી. દરમિયાનમાં આઈએસઆઈએ મુંબઈ પર હુમલાની યોજના ઘડી અને તેમાં તહવ્વુર રાણાને સક્રિય કર્યો.

હેડલી અમેરિકામાં જન્મેલો છે.
દાઉદ સૈયદ ગિલાની ઉર્ફે ડેવિડ કોલમેન હેડલીના પિતા સૈયદ સલીમ ગિલાની પાકિસ્તાની રાજદ્વારી હતા અને માતા એલિસ સેરિલ હેડલી વોશિંગ્ટન ખાતેના પાકિસ્તાનના દૂતાવાસમાં નોકરી કરતી હતી. બંને વચ્ચે પરિચય થયો, પ્રેમ થયો, લગ્ન થયાં ને ૧૯૬૦ના હેડલી જન્મ્યો. હેડલીના જન્મ પછી તેનો આખો પરિવાર લાહોર આવી ગયેલો પણ તેની માતાને પાકિસ્તાનમાં ના ફાવતાં એ પાછી અમેરિકા જતી રહેલી. હેડલી અને તેની બહેનને પણ એલિસ સાથે લઈ જવા માગતી હતી પણ સંતાનોને પાકિસ્તાનમાં જ છોડી જવાની ફરજ પડાઈ હતી. હેડલી ૧૭ વર્ષની ઉંમર સુધી પાકિસ્તાનમાં રહ્યો તેથી પાકિસ્તાનના માહોલનો રંગ લાગી ગયો. એ પછી એ અમેરિકા પોતાની માતા પાસે આવી ગયેલો અને પેન્સિલ્વાનિયામાં પબ ચલાવતો. હેડલી પાકિસ્તાનમાં પણ જતો રહેતો અને ડ્રગ્સનો ધંધો કરતો. ૧૯૮૮માં ડ્રગ્સ સાથે ઝડપાયા પછી તેણે પોતાના સાથીઓનાં નામ આપીને સોદાબાજી કરી લીધેલી તેથી ઓછી સજા ભોગવીને છૂટી ગયેલો. છૂટીને એ પાછો પાકિસ્તાન જતો રહેલો. હેડલીના આતંકવાદી આકાઓ સાથે ગાઢ સંબંધ હતા.
પાકિસ્તાનમાં ધમધમતાં પાંચથી છ આતંકવાદી તાલીમ કેન્દ્રોમાં હેડલીએ તાલીમ લીધી છે. હેડલીએ આતંકવાદીઓ પેદા કરવા પાકિસ્તાનમાં ચલાવાતા દૌરા-એ-સફા, દૌરા-એ-અમ્મા, દૌરા-એ-ખાસ અને દૌરા-એ-રિબત જેવા લિડરશીપ કોર્ષ કર્યા હતા. આ અભ્યાસ દરમિયાન હેડલીની મુલાકાત ઝકી-ઉર-લખવી અને હાફિઝ સઈદ સાથે થઈ હતી.
સઈદ અને લખવી બંને ધાર્મિક અને જેહાદી ભાષણોમાં ભારતને ઈસ્લામ વિરોધી ચિતરતા હતા. સઈદના ભાષણો સાંભળીને હેડલી ૨૦૦૨માં લશ્કર-એ-તોઈબા તરફ આકર્ષાયો હતો. એ પછી તેણે કાશ્મીરમાં જઈને ભારતીય સેના સામે લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી પરંતુ લખવીએ કહ્યું કે, તેની ઉંમર વધારે છે તેથી હેડલી ત્યાં ના જઈ શકે.
લખવીએ હેડલીનો ‘ઉપયોગ’ અન્ય કોઈ રીતે કરવાનું આશ્વાસન આપ્યું હતું.
હેડલી લશ્કર-એ-તોઈબા સાથે ગાઢ રીતે સંકળાયેલો હતો એટલે તેને ભારત મોકલવાનું નક્કી થયું. લશ્કરનો હેન્ડલર સાજીદ મીર હેડલીના સંપર્કમાં હતો. હેડલી ભારતમાં અમેરિકન નામ સાથે પ્રવેશવા માંગતો હતો કે જેથી કોઈ તેના પર શંકા ન કરે. આ કામ માટે હેડલી અમેરિકા ગયો અને દાઉદ સૈયદ ગિલાનીમાંથી ડેવિડ કોલમેન હેડલી બની ગયો. નામ બદલી નાખીને લશ્કર-એ-તોઈબાના અન્ય સાથી સાજીદ મીરને જાણ કરી. હેડલી નામ બદલ્યાના અમુક અઠવાડિયામાં જ પાકિસ્તાન જતો રહ્યો.
સાજીદ મીર ઈચ્છતો હતો કે હેડલી ભારતમાં નાની ઓફિસ ચાલુ કરે કે જેથી કોઈને શંકા ના થાય. હેડલીએ તેની વાત માનીને મુંબઈમાં ઓફિસ ખોલી હતી.

હેડલીની આઈએસઆઈમાં એન્ટ્રી આકસ્મિક હતી.
પાકિસ્તાનમાંથી લશ્કર-એ-તોઈબાએ તેને અફઘાનિસ્તાન મોકલ્યો હતો. હેડલી અફઘાનિસ્તાનથી પાછો આવતો હતો ત્યારે વિદેશી લાગતો હોવાના કારણે સરહદ પર પાકિસ્તાન સેનાના નિવૃત્ત મેજર અબ્દુર રહેમાન પાશા સાથે તેની ધરપકડ કરવામાં આવી હતી. હેડલી પાસે ભારતને લગતી કેટલીક સામગ્રી હોવાના કારણે પાકિસ્તાન સેનાના મેજર અલીએ હેડલીની પૂછપરછ કરી હતી.
હેડલીએ મેજર અલીને જણાવ્યું હતું કે, પોતે તહવ્વુર રાણાને ઓળખે છે અને ભારતમાં બિઝનેસ ઓફિસ ધરાવે છે. અલીને લાગ્યું કે, ભારતને લગતી માહિતી મેળવવામાં હેડલી મદદરૂપ સાબિત થશે. અલીએ હેડલીની મુલાકાત પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈના મેજર ઈક્બાલ સાથે કરાવી હતી. હેડલીના ભારતીય વિઝા જોઈને મેજર ઈક્બાલ ખુશ થયા હતા. તેમણે તહવ્વુર રાણાનો સંપર્ક કરીને હેડલીની વિગતોની ખરાઈ કરી અને હેડલીનો મુંબઈ હુમલામાં ઉપયોગ કરવાની બ્લુ પ્રિન્ટ એ વખતે જ ઘડી દેવામાં આવી હતી.
હેડલીને ફરી ભારત મોકલવાની વ્યવસ્થા રાણાએ કરી હતી.
હેડલીની વિઝા અરજીમાં જન્મસ્થળ, પાસપોર્ટ નંબર, માતાની રાષ્ટ્રીયતા અને જન્મતારીખને બાદ કરતાં અન્ય તમામ વિગતો ખોટી હતી છતાં કોઈએ શંકા ના કરી કેમ કે રાણાએ બધું ગોઠવેલું હતું. વિઝા મળ્યા પછી નવા નામવાળા પાસપોર્ટ સાથે હેડલી આઠ વખત ભારત આવ્યો હતો. સાત વખત તેણે મુંબઈની મુલાકાત લીધી હતી. હેડલી સાત વખત પાકિસ્તાનથી સીધો ભારત આવ્યો હતો, જ્યારે એક વખત દુબઈથી ભારત આવ્યો હતો છતાં કોઈને તેના પર શંકા ના આવી.
રાણાએ હેડલીને મુંબઈના જનરલ વીડિયોઝ ઉતારવા પણ કહ્યું હતું. હેડલી આ વીડિયો ઉતારીને પાકિસ્તાન ગયો અને તેના આધારે હુમલાના સ્થળો નક્કી થયાં.

જો કે રાણા, હેડલી અને આઈએસઆઈની મૂળ યોજના મુંબઈમાં ૨૬ નવેમ્બર, ૨૦૦૮ના રોજ ભીષણ આતંકવાદી હુમલો કરવાની નહોતી પણ એ પહેલાં હુમલો કરવાની હતી. ૨૬/૧૧ના હુમલા પહેલાં બે વખત મુંબઈમાં આ જ પ્રકારના આતંકવાદી હુમલાના પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ સફળ થયા ન હતા.
આ વાત હેડલીએ પોતે અમેરિકન એજન્સીઓને આપેલી જુબાનીમાં સ્વીકારી છે. હેડલીની જુબાની પ્રમાણે મુંબઈ પર હુમલાનો પ્રથમ પ્રયાસ સપ્ટેમ્બર ૨૦૦૮માં કરવામાં આવ્યો હતો પણ ત્યારે આતંકવાદીઓને લઈને આવતી બોટ દરિયામાં ખડક સાથે ટકરાઈ જતાં હથિયારો અને વિસ્ફોટકો ડૂબી ગયા હતા. બોટમાં સવાર તમામ આતંકવાદી બચી ગયા હતા અને પાછા પાકિસ્તાન ભાગી ગયા હતા.
હેડલીની જુબાની પ્રમાણે મુંબઈ પર હુમલાનો બીજો પ્રયાસ ઓક્ટોબર ૨૦૦૮માં કરવામાં આવ્યો હતો. પહેલા હુમલા વખતે મોકલાયેલા તમામ આતંકીઓને ફરી એક વખત હુમલો કરવા મોકલવામાં આવ્યા હતા પણ કોસ્ટ ગાર્ડની નજરે ચડી જતાં ભાગીને પાછા પાકિસ્તાન જતા રહ્યા હતા.
અંતે મુંબઈમાં ૨૬ નવેમ્બર,૨૦૦૮ના રોજ આતંકવાદી હુમલો કરવામાં તેમને સફળતા મળી કે જેમાં ૧૭૫ લોકોના મોત થયા.

રાણા-હેડલીએ સાથે કામ કર્યું એ જોતાં બંને ભારતને મળવા જોઈતા હતા પણ અમેરિકાએ માત્ર રાણાને જ ભારતને સોંપ્યો છે.
મુંબઈ હુમલાના ૧૬ વર્ષ પછી ભારતને સોંપાયેલો રાણા પાકિસ્તાની નહીં પણ કેનેડિયન નાગરિક છે એમ કહીને પાકિસ્તાને હાથ ખંખેરી નાખ્યા છે.
આ સંજોગોમાં રાણાને કારણે ભારત પાકિસ્તાનને ના ભિડાવી શકે પણ આતંકવાદીઓ અંગે મહત્વની માહિતી ચોક્કસ મેળવી શકે છે.