ભારતમાં હિન્દુઓ લઘુમતીમાં આવી જશે ?
ઈકોનોમિક એડવાઈઝરી કાઉન્સિલ ટુ પ્રાઈમ મિનિસ્ટર (ઁસ્-ઈછઝ્ર)નો રિપોર્ટ બહાર આવતાં જ આ સવાલ ફરી ચર્ચામાં આર્વી ગયો છે. આ રિપોર્ટ પ્રમાણે, આઝાદીથી અત્યાર સુધીમાં ભારતમાં દેશની વસતીમાં હિંદુઓના પ્રમાણમાં ૭.૮ ટકાનો ઘટાડો થયો છે જ્યારે મુસ્લિમોની વસ્તીના પ્રમાણમાં ૪૩ ટકાનો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન કુલ વસતીમાં ખ્રિસ્તીઓની વસતીના પ્રમાણમાં ૫.૩૮ ટકા, શીખોમાં ૬.૫૮ ટકા અને બૌદ્ધોમાં ૦.૪ ટકાનો નજીવો વધારો જોવા મળ્યો છે. મતલબ કે, ભારતમાં હિંદુઓનું પ્રમાણ કુલ વસતીમાં ઘટ્યું તેના કારણે બીજા ધર્મનાં લોકોની વસતીનું પ્રમાણ વધ્યું છે.
ભારતને ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ આઝાદી મળી.
આઝાદી પછી પહેલી વસતી ગણતરી ૧૯૫૧માં કરાઈ હતી. બ્રિટિશ ઈન્ડિયાની કુલ વસતી ૩૯ કરોડ હતી. બ્રિટિશ ઈન્ડિયાની ૩૯ કરોડની વસતીમાંથી ૮ કરોડ લોકો પાકિસ્તાનમાં ગયાં તેથી ભારતની વસતી ૩૧ કરોડ રહી. આઝાદી પછી ૧૯૫૧માં પહેલી વસતી ગણતરી થઈ ત્યારે વસતી ૩૬ કરોડ થઈ હતી. ભારતની વસ્તીમાં હિંદુઓનો હિસ્સો ૮૪ ટકા હતો તે ૨૦૧૫માં ઘટીને ૭૮ ટકા થઈ ગયો.
બીજી તરફ ૧૯૫૦માં દેશની કુલ વસતીમાં મુસ્લિમોનો હિસ્સો ૯.૮૪ ટકા હતો. ૬૫ વર્ષમાં દેશની કુલ વસતીમાં મુસ્લિમોનો હિસ્સો વધીને ૧૪.૦૯ ટકા થયો છે. મતલબ કે, ભારતમાં બહુમતી એટલે કે હિંદુઓની વસ્તીમાં ૭.૮ ટકાનો ઘટાડો થયો છે. આ રિપોર્ટમાં ૧૬૭ દેશોમાં વસતી વધારાનાં સમીકરણોની વિગતો છે ને આ વિગતો પ્રમાણે, ભારતની જેમ મ્યાનમારમાં પણ હિંદુઓની વસ્તીમાં ૧૦ ટકાનો ઘટાડો નોંધાયો છે. નેપાળમાં પણ હિંદુ વસ્તીમાં ૩.૬ ટકાનો ઘટાડો થયો છે.
ભારતની વસતીમાં હિંદુઓનું પ્રમાણ ઘટી રહ્યુ છે અને મુસ્લિમોનું વધી રહ્યું છે એ વાત નવી નથી. ભારતમાં દર દસ વરસે વસતી ગણતરી કરાય છે અને દર દસ વરસે વસતી ગણતરીના આંકડા બહાર પડે તેમાં હિંદુઓનું પ્રમાણ ઘટેલું હોય છે ને મુસ્લિમોનું પ્રમાણ વધેલું જ હોય છે.
મુસ્લિમોમાં વસતી વધારાનો દર દેશના વસતી વધારાના દરથી ઘણો ઉંચો છે એવું સરકાર દ્વારા કરાતા વસતી વધારાના આંકડા કહે છે. છેલ્લા બે દાયકાની વસતી ગણતરીના આંકડા પ્રમાણે ૧૯૯૧-૨૦૦૧ના દાયકામાં હિન્દુઓની વસતી ૧૯.૯૨ ટકા વધી તો સામે મુસ્લિમોની વસતી ૨૯.૫૨ ટકા વધી હતી. ૨૦૦૧-૨૦૧૧ના દાયકામાં હિન્દુઓના વસતી વધારાનો દર ૧૮.૬૦ ટકા હતો જ્યારે મુસ્લિમોનો વસતી વધારાનો દર ૨૪.૬૦ ટકા હતો. આ બંને દાયકામાં હિંદુઓ કરતાં મુસ્લિમોમાં વસતી વધારાનો દર ૫ ટકાથી ૧૦ ટકા વધારે છે. આ હાલત દરેક દાયકામાં રહી છે અને આ ઉંચા વસતી વધારા દરના કારણે દેશની વસતીમાં મુસ્લિમોનું પ્રમાણ વધી રહ્યું છે. ૨૦૦૧માં દેશની વસતીમાં ૧૩.૪ ટકા મુસ્લિમો હતા. ૨૦૧૧માં આ પ્રમાણ વધીને ૧૪.૨ ટકા થયું. આ વખતે વસતી ગણતરી થઈ નથી પણ હવે કદાચ ૧૫ ટકા થઈ ગયું હશે.
ભારતની કુલ વસતીમાં હિંદુઓનું ઘટેલું પ્રમાણ ભવિષ્યમાં ભારતમાં હિંદુઓનો પ્રભાવ ઘટી જશે અને હિંદુઓ પર મુસ્લિમો હાવી થઈ જશે એવી ચર્ચા ફરી શરૂ થઈ ગઈ છે. દુનિયામાં હિંદુઓની બહુમતી ધરાવતા દેશ માત્ર ભારત અને નેપાળ બે જ છે. આ પૈકી નેપાળ બહુ નાનો દેશ છે અને દુનિયાની હિંદુઓની કુલ વસતીમાંથી ૯૦ ટકા કરતાં વધારે હિંદુ ભારતમાં રહે છે તેથી ભવિષ્યમાં ભારત પણ મુસ્લિમ રાષ્ટ્ર બની જશે એવી ચેતવણીઓ પણ છપાઈ રહી છે.
આ ચેતવણી સાચી પડશે ?
હિંદુવાદી આગેવાનો સતત કહે છે કે, હિંદુઓએ વધારે છોકરાં પેદા કરવાં જોઈએ મુસ્લિમોની વસતી સતત વધી રહી છે એ જોતાં ભવિષ્યમાં આ દેશ પર મુસ્લિમો હાવી થઈ જશે, આપણને ગુલામ બનાવી દેશે.
આરએસએસના મોહન ભાગવત જેવા એકલદોકલ આગેવાને શાણપણ વાપરીને વધારે છોકરાં પેદા કરવાની વૃત્તિ અને પ્રવૃત્તિને જાનવરો જેવી ગણાવીને અલગ સૂર કાઢ્યો છે, બાકીના બધા એક જ રેકર્ડ વગાડે છે કે, આ દેશમાં હિંદુ એકલા કુટુંબ નિયોજન અપનાવશે તો હિંદુઓ લઘુમતીમાં આવી જશે. આ સ્થિતિ રોકવી હોય તો હિંદુવાદીઓએ વધારે સંતાનો પેદા કરવાં જોઈએ ને મુસ્લિમોની વસતી વધે છે એ રીતે આપણી વસતી પણ કૂદકે ને ભૂસકે વધવી જોઈએ.
ભાજપનાં નેતા સાધ્વી પ્રાચીએ તો દરેક હિંદુ દંપતીને ચાર સંતાન હોવાં જોઈએ એવી સલાહ આપેલી. સાધ્વીએ ચાર છોકરાં પેદા કર્યા પછી શું કરવું તેનું જ્ઞાન પણ આપ્યું હતું, સાધ્વી પ્રાચીના કહેવા પ્રમાણે ચારમાંથી એક છોકરાને ડોક્ટર કે એન્જીનિયર બનાવજો, એકને સંતોને સોંપી દેજો કે જેથી એ ધર્મની સેવા કરે, એકને આર્મીમાં સૈનિક બનાવવાનો કે જેથી એ દેશની સેવા કરે. ચોથા સંતાનને વિશ્વ હિન્દુ પરિષદને આપી દેજો કે જે હિન્દુ સમાજને આગળ લઈ જવાનું મહાન કામ કરશે. સાધ્વી પ્રાચી વિશ્વ હિન્દુ પરિષદ સાથે સંકળાયેલાં છે અને સાધ્વી શક્તિ સંગઠન નામની સંસ્થા ચલાવે છે.
સાધ્વી પ્રાચીની વાત સાંભળીને ઘણા હિંદુવાદી ખુશ થઈ ગયેલા પણ સવાલ એ છે કે, આ સાધ્વી પ્રાચી કહે છે એ રીતે સંતાનોને ઉછેરવાં શક્ય છે ? સંતાનને ડોક્ટર-એન્જીનિયર બનાવવા કે આર્મીમાં જાય એ રીતે તૈયાર કરવા એ ખાવાના ખેલ નથી. તેના માટે ખર્ચ થાય ને એ ખર્ચ કોણ ઉઠાવે ?
હિંદુ સમાજ એ ખર્ચ ઉઠાવવા તૈયાર હોય તો હિંદુઓ વધારે બાળકો પેદા કરી શકે પણ હિંદુ સમાજની એ તૈયારી છે ? સાધ્વી પ્રાચી સહિતનાં લોકોએ એ વિશે વિચારવું જોઈએ. હિંદુ મંદિરો અને મઠો વગેરે પાસે અઢળક સંપત્તિ છે. બેંકોમાં તેમના નામે અબજોની ફિક્સ્ડ ડીપોઝટો પડેલી છે, દરરોજ કરોડો રૂપિયાના ચઢાવા આવે છે એ જોતાં હિંદુ સમાજ પાસે નાણાંની કમી નથી, કમી દાનતની છે. મંદિરોનો વહીવટ કરનારા પોતાની સવલતો પાછળ કરોડો રૂપિયા ખર્ચી શકે છે, મંદિરોમાં સોનાના ઢોળ ચડાવવા સહિતનાં કામો માટે પણ કરોડો રૂપિયા ખર્ચી નાંખે પણ ગરીબ હિંદુ પરિવારોનાં સંતાનોના શિક્ષણની જવાબદારી ઉઠાવવા કેટલાં મંદિરો આગળ આવે છે ?
હિંદુત્વના નામે કરોડ રૂપિયા કમાનારા જ્યારે હિંદુઓનાં સંતાનો પાછળ ખર્ચ કરવાની તૈયારી બતાવશે ત્યારે હિંદુઓ પણ વધારે સંતાનો પેદા કરવા વિશે ચોક્કસ વિચારશે.
હિંદુઓ માટે મુસ્લિમોની વધતી વસતી કરતાં વધારે ગંભીર સમસ્યા જ્ઞાતિવાદની છે કેમ કે તેના કારણે હિદુ સમાજ વિભાજીત થઈ રહ્યો છે. હિંદુ સમાજમાં એકતા નથી ને તેના કારણે જ ભારતમાં બીજા ધર્મોનો પ્રવેશ થયો. ભારતમાં એક સમયે માત્ર હિંદુ જ હતા. હિંદુ ધર્મમાંથી જ પેદા થયેલા જૈન અને બૌધ્ધ ધર્મ કેટલાક હિંદુઓએ સ્વીકાર્યો તેથી હિંદુઓની સંખ્યા ઘટી પણ બૌધ્ધધર્મી અને જૈન ભારતીય જ હતા.
ભારતમાં ખ્રિસ્તી અને ઈસ્લામ બહારથી આવ્યા. આ બંને ધર્મ સ્વીકારનારા ભારતીયોમાંથી ઘણાંએ ડરથી આ ધર્મ સ્વીકાર્યા ને ઘણાંએ જ્ઞાતિવાદથી ત્રસ્ત થઈને સ્વીકાર્યા. એ બહુ લાંબો ઈતિહાસ છે તેથી તેની વાત નથી કરતા પણ જ્ઞાતિવાદ હજુય હિંદુ સમાજ માટે સમસ્યા છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે બે વર્ષ પહેલાં કહેલું કે, આજે પણ દેશમાં સામાજિક ચેતના જ્ઞાતિવાદની લાગણીથી ગ્રસિત થયેલી છે, દૂષિત થયેલી છે. મતલબ કે, ભારતમાં જ્ઞાતિવાદ જ સર્વસ્વ છે ને લોકો જ્ઞાતિવાદને આધારે જ બધું નક્કી કરે છે.
જ્ઞાતિવાદ હિંદુત્વ માટે કલંક છે ને આ કલંકથી મુક્ત થવું જરૂરી છે પણ કમનસીબે એવું થતું નથી. જ્ઞાતિવાદ નાબૂદીની વાતો બહુ થાય છે પણ તેના બદલે ભારતમાં ધીરે ધીરે જ્ઞાતિવાદ અત્યંત પ્રબળ બની રહ્યો છે. લોકો કોઈપણ વાતને જ્ઞાતિવાદનાં ચશ્માંથી જ જુએ છે. ભાગવતની વાત સાચી છે ને લોકોએ તેના વિશે ગભીરતાથી વિચારવાની જરૂર છે.
આ સ્થિતિ બદલાય ને હિંદુઓ એક થાય તો કોઈ સમસ્યા ના રહે કેમ કે એકતામાં તાકાત છે.