ભારત અને પાકિસ્તાન વચ્ચે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. ૮ મેની સાંજે, પાકિસ્તાને ભારતના અનેક સરહદી વિસ્તારો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. જેને ભારતીય સેનાએ સંપૂર્ણપણે નિષ્ફળ બનાવી દીધો હતો. આજે, ૦૮ મેના રોજ, ધર્મશાળા સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાઈ રહી હતી, જેને અધવચ્ચે જ રદ કરવી પડી. આ બધા વચ્ચે, ક્રિકેટ ચાહકોના મનમાં એક જ પ્રશ્ન છે કે આઇપીએલનું શું થશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે આઇપીએલ ચાલુ રહેશે કે નહીં ? આઈપીએલ ચેરમેને આ અંગે એક મોટી અપડેટ આપી છે.

આઈપીએલ ચેરમેનને પૂછવામાં આવ્યું કે શું ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે આઈપીએલ ચાલુ રહેશે? આ પ્રશ્ન પર,આઇપીએલ ચેરમેન અરુણ ધુમલે કહ્યું કે તેઓ હાલમાં પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. હવે આ તણાવપૂર્ણ વાતાવરણમાં, ચાહકોએ આઈપીએલ થશે કે નહીં તે અંગે બીસીસીઆઈના નિર્ણયની રાહ જોવી પડશે.

તમને જણાવી દઈએ કે આઇપીએલમાં લીગ મેચ અને પ્લેઓફ સહિત કુલ ૭૪ મેચ રમવાની છે, જેમાંથી ૫૮ મેચ રમાઈ ચૂકી છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે બીસીસીઆઇ ગવ‹નગ કાઉન્સીલ બાકીની મેચો અંગે શું નિર્ણય લે છે.

જો આજે પંજાબ અને દિલ્હી વચ્ચે રમાયેલી મેચની વાત કરીએ તો આ મેચ ૧૧મી ઓવરમાં રોકાઈ ગઈ હતી. હિમાચલ પ્રદેશની વર્તમાન પરિસ્થિતિ જોયા પછી, બીસીસીઆઇ એક્શનમાં આવ્યું અને તેમણે તાત્કાલિક મેચ બંધ કરી દીધી. વરસાદને કારણે રમત તેના નિર્ધારિત સમય કરતાં મોડી શરૂ થઈ. આખરે ટીમો અને દર્શકોને તેમની સુરક્ષા માટે સ્ટેડિયમમાંથી બહાર કાઢવામાં આવ્યા. મેચ રદ થયા પછી, અરુણ સિંહ ધુમલ પોતે ચાહકોને મેદાન છોડી દેવા માટે કહેતા જોવા મળ્યા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.