ગુજરાતમાં માર્ગ અકસ્માતો અને તેમાં મૃત્યુઆંક સતત વધી રહ્યા છે. આ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લામાંથી વધુ એક અકસ્માત પ્રકાશમાં આવ્યો છે. સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા હાઇવે પર બાઇક અને ટ્રક વચ્ચે થયેલી ભયાનક ટક્કરમાં ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. હાલમાં પોલીસે ત્રણેય યુવાનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી દીધા છે અને વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગરથી ધ્રાંગધ્રા જઈ રહેલા યુવાનોનું બાઇક મોડી રાત્રે દૂધરેજ ફાટક પાસે એક ટ્રક સાથે અથડાયું હતું. અકસ્માત એટલો ભયંકર હતો કે બાઇક સંપૂર્ણપણે નુકસાન થયું હતું. અકસ્માતમાં બાઇક સવાર ત્રણેય યુવાનોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પોલીસ અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી.
આ અકસ્માતની જાણ પોલીસને થતાં સુરેન્દ્રનગર શહેર એ ડિવિઝન પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પોલીસે ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. હાલ પોલીસે ત્રણેય યુવાનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે.
મૃતકોના નામ
(૧) ઇમરાન રમઝાનભાઇ મોવર
(૨) અફજલ યુનીસભાઇ સિપાઇ
(૩) દિવ્યેશ અશોકભાઇ પનારા