સુરતમાં ડુમ્મસ ખાતે ૨,૦૦૦ કરોડ રૂપિયાની ૨,૧૭,૨૧૬ ચોરસ મીટર સરકારી જમીન બારોબાર બિલ્ડરોને પધરાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. આશ્ચર્યની વાત એ છે કે તેમા બદલી પામનારા કલેક્ટર આયુષનું નામ ઉછળીને સામે આવ્યું છે, જેમણે બદલી પહેલા કેટલાક વિવાદાસ્પદ ઓર્ડરો પર સહી કરી હતી. તેમા સરકારી જમીન બિલ્ડરોને બારોબાર પધરાવી દેવાના કૌભાંડનો પણ સમાવેશ થાય છે.
ડુમસની સરકારી જમીન બિલ્ડરોને પધરાવી દેવાના કારસામાં સરકારે તાત્કાલિક ધોરણે મહેસૂલ સચિવ પાસેથી મનાઈહુકમ મેળવી લીધો છે. આ કિસ્સામાં ૩૦ જાન્યુઆરીના રોજ બદલી થતી હોઈ અને ૨૯મી જાન્યુઆરીના રોજ આઇએએસ આયુષ ઓકે ફાઇલને જે રીતે મંજૂરી આપી તેને લઈને મહેસૂલીતંત્રમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. મુખ્ય સચિવ રાજકુમારે મહેસૂલ તપાસણી કમિશ્નર આરઆઇસીની ટીમ ઉપરાંત સમગ્ર ઘટનાક્રમમાં ઊંડાણપૂર્વક તપાસ થાય તે દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. આ રીતે સરકારી જમીન ગણોતિયાને પધરાવવાના આયુષ ઓકના નિર્ણય પાછળ ભાજપનું કોઈ મોટું રાજકીય માથું હોવાની સુરતના મહેસૂલી વર્તુળોમાં ચર્ચા છે.
ડુમસ ગામના સરવે નંબર ૩૧૧/૩ વાળી ૨,૧૭,૨૧૬ ચોરસ મીટર જગ્યા સરકારી શીર પડતર તરીકે ૧૯૪૮-૪૯ના વર્ષથી હતી. આ સરકારી જમીન હોવા છતાં તેમા કબ્જેદાર તરીકે કૃષ્ણમુખલાલ ભગવાનદાસનું નામ ગણોતિયા તરીકે નોંધ નંબર ૫૮૨થી દાખલ કરવામાં આવ્યું હતું. સરકારી જમીનમાં ગણોતિયા તરીકેનું નામ દાખલ થઈ શકે તેમ નહી હોવા છતાં આ નામ ખોટી રીતે દાખલ કરવામાં આવ્યું હતું.તેના પછી સરકારી શીર પડતર લખેલી જગ્યા પર આ લીટી દોરીને તેમા ડેરી કંપનીના મેનેજર વી.સી. જાદવનું નામ દાખલ કરવામાં આવ્યું હતું. નિયમ પ્રમાણે આ રીતે નામ દાખલ કરવાની સત્તા રેવન્યુ અધિકારી પાસે હોય છે. તેની સાથે કોઈનું પણ નામ ઉમેરતા પહેલા તેમા શો કોઝ નોટિસ પણ આપવાનો નિયમ છે. અહીં આવી કોઈ તસ્દી લેવામાં આવી ન હતી.
લોકસભા ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા એક જગ્યા પર છેલ્લાં ત્રણ વર્ષથી ફરજ બજાવતા આઇએએસ અને આઇપીએસની બદલીના આદેશ અપાયા હતા. તેમા જિલ્લા કલેક્ટર આયુષ ઓકની સુરતથી વલસાડ બદલીનો આદેશ ૩૦ જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યો હતો. બદલીના એક દિવસ પહેલા તેમણે આ વિવાદિત પ્રકરણને મંજૂરી આપી હતી. તેની સામે ભારે ઉહાપોહ થતાં રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે સમગ્ર કેસની તપાસ કરી વિવાદાસ્પદ પ્રકરણ પર મનાઈહુકમ ફરમાવતો આદેશ આપ્યો છે.
આ જગ્યાનું વખતોવખત અન્યોને વેચાણ કર્યા બાદ જગ્યાને એનએ કરવા માટેની ફાઈલ કલેક્ટર સમક્ષ રજૂ કરવામાં આવી હતી. તે સમયે સિટી પ્રાંતની તપાસમાં એવી હકીકત બહાર આવી હતી કે આ સમગ્ર જગ્યા સરકારી હોવાના કારણે તેને એનએ કરી શકાય તેમ નથી. તેની સામે માર્ચ ૨૦૦૯માં હાઇકોર્ટમાં રિટ પિટીશન કરવામાં આવી હતી.હાઇકોર્ટે આ કેસમાં ગણોતધારા હેઠળ જે જગ્યાની ફાળવણી કરવામાં આવી છે તે ખેડૂત ખાતેદાર છે કે નહીં તેની તપાસ કરવા માટે આદેશ કર્યો હતો. જેથી સમગ્ર કેસની તપાસ દરમિયાન એવી હકીકત બહાર આવી હતી કે આ જગ્યા સરકારી હોવા છતાં આ આખો કારસો રચવામાં આવ્યો છે. તે અંગેનો સિટી પ્રાંતે રિપોર્ટ પણ જૂન ૨૦૧૫માં આપ્યો હતો.
આ તમામ બાબતોને ધ્યાને લીધા વિના તત્કાલીન કલેક્ટર આયુષ ઓકે ૨૯ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ કબજેદારે વેચાણ કરેલાઓની તરફેણમાં ચુકાદો આપી દીધો હતો. જે અંગેની ફરિયાદ રાજ્ય સરકારને મળતા રાજ્ય સરકારે જમીન મહેસૂલ વિભાગની ટીમને સુરત મોકલી જરૂરી દસ્તાવેજ કબજે કર્યા હતા. તેમજ સમગ્ર કેસમાં તત્કાલીન કલેક્ટર દ્વારા કરવામાં આવેલા હુકમ પર સ્ટે આપી દીધો છે. જ્યારે સમગ્ર કેસની સુનાવણી આગામી ૨૩મેના રોજ કરવામાં આવનાર છે.