સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ આજે ૧૭૪મા ‘વિચારોના વાવેતર’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાનજીભાઈ ભાલાળાએ પૈસાનું વિજ્ઞાન સમજાવતા જણાવ્યું હતું કે, માણસની નજરે સુખનું સરનામું ધન છે. માણસે પહેલા પૈસા માટેનો રસ્તો સમજવા જેવો છે. પૈસા પહેલા વિચારમાં જન્મે છે. પછી નિર્ણયમાં અને પછી બેંક ખાતામાં આવે છે. નાણાનું મહત્વ માત્ર ખર્ચ કરવામાં નથી. પૈસાને સાધન બનાવી સંપતિના સર્જન માટે કામે લગાડવા તે આયોજન વધુ મહત્વનું છે. ગરીબી માત્ર ઓછા આવકનું પરિણામ નથી પૈસાદાર બનવાની શરૂઆત પ્રથમ વિચારથી થાય છે. ત્યાર પછી દ્રઢ ઈચ્છા સાથે નાણાકિય આયોજન અને સતત પ્રયાસ માણસને પૈસાદાર બનાવે છે. આ તકે જાણીતા નાણાકીય સલાહકાર અને અર્હમ ગ્રુપ ઓફ કંપનીઝના ડાયરેક્ટર ઋષિતભાઈ મહેતાએ નાણા જીવન અને આયોજન અંગે પાયાની સમજણ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, જીવન સરળ બનાવવા માટે પૈસાની જરૂર પડે છે. પૈસા અને જીવન વચ્ચે સાચો તાલમેલ માટે નાણાકિય આયોજન જરૂરી છે. માર્કેટની તેજી હોય કે મંદી, સમજણ, શાંત મન અને પરિવારનો સહકાર હોય તો પ્રગતિ નિશ્ચિત છે.









































